અમદાવાદ: કોરોનાના કારણે નાઇટ કફર્યૂ હોવાથી નાતાલ તેમજ ૩૧ ડિસેમ્બરની રાત્રે ઉજવણી કરી શકાશે નહીં. આવી ઉજવણી કરતા પોલીસને ઝડપાશે તો તેમની સામે કાયદેસર પગલાં લેવાશે આ ઉપરાંત ફાર્મ હાઉસ, હોટલ તેમજ અન્ય જગ્યાએ ૩૧ ડિસેમ્બરની ઉજવણીની પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી અપાશે નહીં. કોવિડ ૧૯ના નિયમોનું શહેરીજનોએ ચુસ્તપણે પાલન કરવું પડશે. છુપાઈને પણ પાર્ટી કે ઉજવણી કરાશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે. પોલીસ ખાનગી પહેરવેશમાં પણ વોચ રાખશે. તેવી જાહેરાત ૨૩મી ડિસેમ્બરે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પત્રકાર પરિષદમાં કરી હતી.
નવા વર્ષથી રાત્રે ૧૧થી સવારે ૬ કફર્યૂની શક્યતા
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હાલમાં રાત્રે ૯થી સવારના ૬ વાગ્યા સુધીમાં કર્ફ્યૂ છે. રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણનો બીજો ઉછાળો આવતાં આ નિર્ણય લેવાયો હતો, પરંતુ ૩૧ ડિસેમ્બર બાદ ગમે ત્યારે સરકાર કર્ફ્યૂના કલાકોમાં ઘટાડો કરી શકે છે તેવી ધારણા છે. રાજ્યમાં મુખ્ય પ્રધાનના વડપણ હેઠળ કોરોના સંક્રમણની સ્થિતિ અને નિયંત્રણ પર ધ્યાન રાખવા બનેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હોવાના પણ સમાચાર હતા. ૨૮મીના છેલ્લા પંદર દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટી છે અને સાથે એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે તેથી નવા વર્ષથી રાત્રે ૧૧થી સવારે ૬ સુધી કર્ફ્યૂનો નિર્ણય પણ લેવાઈ શકે છે.