સુરતઃ અષાઢ મહિનામાં આવતો આદિવાસીઓનો પ્રિય તહેવાર તેરા છે. આ તહેવારની વિશેષતા એ છે ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદ પડી ગયા પછી જંગલના આળુ નામના કંદને લીલા રંગના સુંદર પાન આવતા તે રાન આળુ કહેવાય છે. આળુના કંદને પીલા ફૂટી ગયા પછી લગભગ પંદરથી વીસ દિવસમાં જમીન ઉપર આવે છે. તેના પાંદડા ઉપર આવતાં બીજા પંદર દિવસ નીકળી જાય છે. તેરા પૂર્વે અષાઢ માસની અમાસ આવે છે. ત્યાં સુધીમાં આ વિસ્તારમાં વરસાદ થઈ ગયો હોય છે તેથી વરસાદનું પાણી લઈને ગ્રામ દેવ વાઘદેવીની પૂજા કરી આળુ નવા પાંદડાનું નવું શાક આદિવાસીઓ દેવને ધરાવે છે. એ રાત્રે મોજમસ્તી સાથે નાચગાન કરી ડાંગ જિલ્લામાં તેરાનો ઉત્સવ મનાવાય છે. આ સાથે આદિવાસીઓ રોપણીનો પ્રારંભ કરે છે. બધા જ ગ્રામજનો ગામના પટેલ સાથે ભેગા મળી નક્કી કરે છે તે દિવસે વાઘદેવીની પૂજા થાય છે. આળુના પાંદડાને આદિવાસીઓ નેવ માને છે.