વાપીઃ આધુનિક જમાનામાં પણ શ્રવણ જેવા દીકરા હોય છે, તે વાત જાણીને ચોક્કસ નવાઇ લાગે છે. એક પુત્રએ બીમાર પિતાની માનતા પૂર્ણ કરવા તેમને ૨૫ કિલોમીટર સુધી ખભે બેસાડીને પદયાત્રા કરી હતી.
વાપી નજીકના છીરી ગામે રહેતા રાજેન્દ્ર વિશ્વનાથ રાજભરે ફુલની દુકાનથી પરિવારનું ગુજરાન ચલાવે છે. છ વર્ષ પહેલા તેના ૭૦ વર્ષીય પિતા વિશ્વનાથને શરીરે લકવો થયો હતો. બીમાર પિતાની સારવાર માટે રાજેન્દ્રએ અનેક દવા કરાવી હતી. આમ છતાં પિતાની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. ચાર વર્ષ અગાઉ પિતા-પુત્ર ઉમરગામ તાલુકાના કલગામ ખાતેના પ્રાચીન હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયા હતા.
જ્યાં રાજેન્દ્રએ હનુમાનજી સમક્ષ પિતાની બીમારી દુર થાય તો તેમને ખભે ઉંચકી મંદિરે આવવાની આકરી માનતા રાખી હતી. આ માનતા પછી ચમત્કારિક રીતે પિતા સાજા થયા હતા. આથી રાજેન્દ્ર વાપીથી ૨૫ કિ.મી. દૂર આવેલા હનુમાન મંદિર જવા નીકળ્યો હતો. પિતાને એક ક્ષમ માટે પણ જમીન પર મુક્યા ન હતા. તેણે સતત ૧૬ કલાક પોતાના ખભા પર પિતાને ઉંચકીને બપોરે ત્રણ કલાકે મંદિરે પહોંચ્યો હતો અને ભગવાનના દર્શન કરી આભાર માન્યો હતો.