પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે લાજપોરની જેલમાંથી પિતાના મિત્ર રશ્મિન સલાણીના સરનામે પત્ર લખ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે આ પત્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીને પહોંચાડમાં આવે. પત્રમાં લખ્યું છે કે ૨૧ વર્ષથી કોંગ્રેસ પક્ષ સત્તાથી દૂર રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને પાટીદાર અનામત આંદોલનના કારણે વિજય મળ્યો છે. કોંગ્રેસને બગાસું ખાતા પતાસું મળી ગયું છે, પરંતુ કોંગ્રેસની વ્યક્તિએ મને કાયદાકીય રીતે ફસાવી રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યા છે.
ગાંધી નિર્વાણ દિને પાટીદારોની શાંતિ પદયાત્રાનો ફિયાસ્કો
મહાત્મા ગાંધીજીના નિર્વાણદિને પાટીદારો દ્વારા નવસારીના ઐતિહાસિક ગાંધી સ્મૃતિ ફાટકથી દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારક સુધીની પાટીદાર શાંતિ પદયાત્રા માટે ૩૧મીએ સવારથી ગાંધી સ્મૃતિ ફાટક પાસે જિલ્લા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો, પરંતુ હજારોની સંખ્યાની જગ્યાએ ફક્ત ૭ પાટીદારો જ શાંતિ પદયાત્રા માટે ગાંધી સ્મૃતિ ફાટકે પહોંચતાં પોલીસે તેમને ડિટેઈન કર્યા હતા.