બારડોલીઃ માંગરોળમાંથી ભાજપના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ મોસાલી ચાર રસ્તા વિસ્તારમાં વિકાસ ગૌરવયાત્રાની જાહેરસભા ૧૫મીએ સંબોધી હતી. સભામાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આવે તે અગાઉ ભાજપના ખેસ નાંખીને પહોંચેલા બીટીએસ (ભીલીસ્તાન ટાઇગર સેના)ના કાર્યકરોએ મંચ પર ઇંડા ફેંકવાનું શરૂ કરતા ધમાચકડી મચી હતી. ભાજપ કાર્યકરોએ બીટીએસના ૩થી ૪ કાર્યકરોને મુક્કાથી કે પ્લાસ્ટીકની ખુરશી વડે માર મારવું શરૂ કર્યું હતું. તે સમયે મંચ પરથી ગણપત વસાવાએ ઉશ્કેરણી જનક સંબોધન કરતા કહ્યું હતું કે, આજે ધોલાઇ કરી લો ભાઇ. બહુ દિવસ પછી તક મળેલી છે. એકેયને છોડવાના નથી. પોલીસનું માનવાનું નથી. યાદગાર ધોલાઇ કરી લો ભાઇ. જે હોય તે સબક શીખડાવો. પૂરું કરો. આજે કોઇને છોડવાના નથી. જેને પગલે કાર્યકરો પણ મારો મારોની બૂમો સાથે ખુરશી લઇને ઇંડા ફેંકનારા પર તૂટી પડયા હતા. જેમાં ત્રણ યુવાનોને ઇજા થઇ હતી. સભામંચ પરથી કેબિનેટ પ્રધાને કરેલી ઉશ્કેરણી સાથેનું ભાષણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય મામલો ગરમાયો છે