સુરતઃ દેશના અન્ય રાજ્યો- શહેરોની માફક ગુજરાત અને સુરતમાં પણ બાળમજૂરી અને ચાઇલ્ડ ટ્રાફિકિંગનુ દૂષણ હોવાનું નોબલ પ્રાઇઝ વિજેતા ડો. કૈલાશ સત્યાર્થીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ. પી. કોહલીની ઉપસ્થિતિમાં સુરતના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. તેમણે મુખ્ય પ્રધાન અને રાજ્યપાલને રાજ્યના વિકાસને આ બદીથી મુક્ત કરાવવા અપીલ કરી હતી.
કૈલાશ સત્યાર્થીએ જણાવ્યું હતું કે, દેશના જુદા- જુદા રાજ્યો- શહેરોમાં બાળમજૂરી, ચાઇલ્ડ ટ્રાફિકીંગનુ દૂષણ પ્રવર્તી રહ્યું છે. દેશમાં બાળ અપરાધના કિસ્સા વધ્યા છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ પ્રમાણે, ગુજરાતમાં આ પ્રકારના કિસ્સા વધ્યા નથી, તે સારી વાત છે, છતાં બાળમજૂરી અને ચાઇલ્ડ ટ્રાફિકીંગનુ દૂષણ છે તે એક હકીકત છે. જે દૂર કરવા માટે સરકાર, વેપાર જગત, સામાજિક- ધાર્મિક સંગઠનો સૌના સહિયારા પ્રયત્નો જરૂરી છે.