સુરતઃ સચિન વિસ્તારમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં કામ કરતા મધ્ય પ્રદેશના વતની અને કામના સ્થળે જ રહેતા ચંદ્રિકાપ્રસાદ ગરૂડ સાકેતની દીકરી દુર્ગાવતીનો મૃતદેહ ૧૪મીએ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ચોથા ધોરણમાં અભ્યાસ કરતી દુર્ગાવતીના શંકાસ્પદ રીતે મળી આવેલા મૃતદેહને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, દુર્ગાવતીનો ઉતરાયણના દિવસે જ જન્મદિવસ હતો. ફેક્ટરીમાં ૩ દિવસની રજા હોવાથી પરિવાર ઉજવણીના મૂડમાં હતું એ દરમિયાન જ દીકરીનો મૃતદેહ મળતાં પરિવાર આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો.
ચંદ્રિકાપ્રસાદે કહ્યું કે, તેમનો પરિવાર ફેક્ટરીમાં ઉપરના માળે જ રહે છે. તેઓ ભાગવેશ નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં કારીગર છે. તેમના ચાર સંતાનોમાં દુર્ગાવતી સૌથી મોટી હતી.
જન્મદિવસની ઉજવણી બાદ પરિવાર દરિયાકિનારે ફરીને આવ્યો એ પછી દુર્ગા રૂમમાં ગઈ હતી. રૂમનો દરવાજો ઘણી વાર સુધી બંધ હતો. તેથી દુર્ગાની માતા રૂબીએ તિરાડમાંથી રૂમમાં જોયું તો દીકરીનો મૃતદેહ લટકતો હતો. સમગ્ર મુદ્દે સચીન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.