વલસાડઃ સરદાર પટેલે એકત્ર કરેલા રજવાડાઓના રાજવીઓને અપાતા સાલિયાણા ૧૯૭૨માં બંધ કરાયા હતા, પરંતુ હજી દેશમાં એકમાત્ર ડાંગના પાંચ રાજવીઓ એવાં છે કે જેમને સાલિયાણું મળે છે. જોકે આ સાલિયાણાની રકમ એવી નથી કે જેનાથી તેઓ આધુનિક અને વૈભવી જીવન જીવી શકે શકે. ગુજરાત સરકાર દ્વારા તેમને ડાંગ જિલ્લાના બજેટમાંથી દર મહિને નિભાવ માટે સીનિયોરિટી પ્રમાણ રૂ. ૬થી ૮ હજાર રૃપિયાનું સાલિયાણું ચૂકવવામાં આવે છે. હવે આ રાજવીઓને કારમી મોંઘવારીમાં સાલિયાણાની રકમ ઓછી પડે છે. તેથી એમણે મહિને રૂ. ૨૦ હજાર સુધીનું સાલિયાણું મેળવવા રાજ્ય સરકારને દરખાસ્ત કરી છે.
આ પાંચ રાજવીઓને છેલ્લે વર્ષ ૨૦૧૨માં અંદાજે ૨૫ ટકા સાલિયાણું વધારી અપાયું હતું, પણ હવે તેઓ જમાના પ્રમાણે ૩૫૦ ટકાનો નવો વધારો માગી રહ્યા છે. આ રાજવીઓના સહાયક નાયક, ભાઇબંધુઓને પણ પેન્શન વધારી આપવું પડશે.
રાજ્ય સરકારે સાલિયાણું વધારવા અંગે હજી કોઇ નિર્ણય લીધો નથી. અલબત્ત એવો વિચાર પ્રવર્તે છે કે ક્યાં સુધી આ સાલિયાણું ચાલુ રાખવું જોઇએ, કારણ કે, વખતોવખત તેમની માગણીઓ વધતી રહી છે.
આ રાજવીઓએ એક ટ્રસ્ટ બનાવ્યું છે. સરકાર આ ટ્રસ્ટને ડાંગના વિકાસના કામો સોંપે અને તેના દ્વારા એમના પરિવારોની તથા સહાયકોનો ગુજરાન ચાલે તેવી પણ એમની માગ છે. આ રાજવીઓ એમના બાળકોને માટે વધુ અભ્યાસ માટે અલાયદી અને નિશૂલ્ક સેવા માગી રહ્યાં છે. તદુપરાંત ડાંગ જિલ્લાના ૩૧૧ ગામોના અંતરિયાળ રસ્તાઓ નવા તથા રિપેર કરવાની પણ એમની માગણી છે.