સુરતઃ માતાના ઓપરેશન માટે નાણાંકીય મદદના બહાને કતારગામની યુવતી સાથે બે વખત દુષ્કર્મ કરનાર ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુની કતાર ગામ પોલીસે ધરપકડ કરી રૂમમાંથી કોન્ડોમના બે પેકેટ ૨૪મીએ કબજે કર્યા હતા. સાધુને બાદમાં તબીબી પરીક્ષણ માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. પોલીસ અને મેડિકલ એક્સપર્ટ્સે જણાવ્યું કે, કતારગામ વિસ્તારની યુવતીને તેની માતાના આંગળીઓના ઓપરેશન માટે પૈસા આપવાની વાત કરી ડભોલી સ્વામીનારાયણ મંદિરમાં બોલાવી એક રૂમમાં લઈ જઈ બે વખત દુષ્કર્મ ગુજારનાર સાધુ વિરુદ્ધ યુવતીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ૨૪મીએ મોડી રાત્રે ભાવનગરના અડતાળાના વતની અને છેલ્લા પાંચ વર્ષથી સ્વામીનારાયણ મંદિરમાં રહેતા ૨૪ વર્ષીય સાધુ કરણ સ્વરૂપદાસજી ઉર્ફે નિકુંજ બાબુભાઈ સવાણીની ધરપકડ કરી હતી.
પોલીસે યુવતી સાથે જ્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે રૂમની તપાસ કરતા ત્યાંથી ગાદલું-ચટાઈ મળી આવ્યા હતા. આ ઉપરાંત કોન્ડોમના બે પેકેટ પણ ત્યાંથી મળી આવ્યા હતા. પોલીસ કોન્ડોમના પેકેટ કબજે કરી રૂમ સીલ કરીને સાધુને તબીબી પરીક્ષણ માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. દુષ્કર્મના ગુનામાં જરૂરી વિવિધ મેડિકલ સેમ્પલ પૈકીનાં કેટલાંક સેમ્પલ લેવામાં સવારે તબીબો સફળ ન થતાં સાધુને ફરી સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેના સંપૂર્ણ મેડિકલ ચેકઅપમાં સાધુ દ્વારા દુષ્કર્મ આચરાયું હોઈ શકે તેવું જાણવા મળ્યું હતું. આ કેસમાં હજી મેડિકલ તપાસ તથા પોલીસ તપાસ જારી છે.