કેવડિયા: નર્મદા બંધનું બાંધકામ પૂરું થઈ ગયું છે એટલે ૧૩૮ મીટર સુધી પાણી ભરવા માટે એનસીએની કોઈ મંજૂરીની જરૂર નથી, પરંતુ તકેદારી સાથે પાણી ભરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, તમામ પાસાઓનો સમન્વય કરીને ભાવિ વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. એના અમલીકરણના તમામ પાસાઓની સમીક્ષા કરવાની સાથે કામની પ્રગતિનું નિરીક્ષણ પણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં વડા પ્રધાન મોદી કેવડિયા પધારવાના છે. આગામી દિવસો આ સ્થળ માટે ખૂબ મહત્ત્વના બનવાના છે. અહીં રાજદૂતોની, આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બેઠક મળવાની છે. આ તમામ ઘટનાક્રમોને ધ્યાનમાં રાખીને પ્લાનિંગના અમલીકરણની સમીક્ષા કરાશે. નર્મદા બંધનું કામ પૂરું થઈ ગયું છે એટલે ૧૩૮ મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવામાં એનસીએની સંમતિની જરૂર નથી.
ટેકનિકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને ૧૩૮ મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવાની નેમ છે. તેમણે જણાવ્યું કે નર્મદા બંધમાં ૧૩૨ મીટર ઊંચાઈ સુધી પાણી ભરાયું છે. સમગ્ર રાજ્યમાં પ્રભુના પ્રસાદ જેવો ઘણો સારો વરસાદ થયો છે. કુદરતની આ મહેર ગુજરાત માટે ખૂબ લાભદાયક બનશે.