વકીલ મેહુલ ચોકસીએ નરેન્દ્ર મોદી પર પીએચડી કર્યું

Wednesday 20th March 2019 07:10 EDT
 
 

સુરતઃ વકીલ મેહુલ ચોક્સીએ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પીએચડી કર્યું છે. જેમાં ૨૯ ટકા લોકોના મતે ‘ભાષણ’ નરેન્દ્ર મોદીના નેતૃત્વનું મજબૂત પાસું હોવાનું અને ૪૮ ટકા લોકોએ નરેન્દ્ર મોદીનું પોલિટિકલ માર્કેટિંગ સૌથી સારું હોવાનું
જણાવ્યું છે. મેહુલ ચોક્સીએ આર્ટ્સ વિદ્યાશાખામાં ડો. નિલેશ જોશીના માર્ગદર્શન હેઠળ ‘સરકારમાં નેતૃત્વ: નરેન્દ્ર મોદીના કેસનો અભ્યાસ’ વિષય પર સંશોધન કર્યું છે.
મેહુલ ચોક્સીએ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ૨૦૧૦ની સાલમાં સંશોધન કાર્યનો આરંભ કર્યો હતો. તેમજ ૨૦૧૩માં વિવિધ પાસાઓને અનુલક્ષીને અભ્યાસ કર્યો હતો. દરમિયાન સરકારી અધિકારી, ખેડૂતો, વિદ્યાર્થી, રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારી મળીને કુલ ૪૫૦ લોકોના વિચારો, અભિપ્રાયો પર અભ્યાસ થયો હતો. બે ભાગમાં પૂછાયેલી પ્રશ્નોત્તરીમાં પહેલા ભાગમાં શ્રેષ્ઠ સરકાર અને નેતૃત્વના ગુણો અંગે ૩૨ પ્રશ્નો પૂછાયા હતા, જ્યારે બીજા તબક્કામાં નરેન્દ્ર મોદીના નેતૃત્વને લગતા ૩૫ પ્રશ્નો પૂછાયા હતા.
છેલ્લે ઉમેર્યું વડા પ્રધાનપદ
પીએચડી માટે સ્ટડી ચાલુ થઈ ત્યારે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા, પણ અત્યારે તેઓ વડા પ્રધાનપદે છે એટલે યુનિવર્સિટીએ બે વર્ષ પહેલાં આ થિસિસમાં તેમના વડા પ્રધાનપદની કાર્યપદ્ધતિ ઉમેરવાનું પણ સૂચન કરતાં છેલ્લા તબક્કામાં મેહુલ ચોકસીએ એ કામ પણ કરી લીધું. તેથી કામમાં બે વર્ષ વધારે લાગી ગયાં. જોકે એવું થયા પછી તેમને પોતાને લાગ્યું કે આખો નિબંધ વાજબી રીતે પૂર્ણ થયો છે. મેહુલ ચોકસીએ કહ્યું હતું કે, હું કહીશ કે નરેન્દ્ર મોદી માત્ર પોલિટિકલ લીડર નથી.તેમનામાં બેસ્ટ બ્યુરોક્રેટ્સની પણ બધી ક્વોલિટી છે એટલે તે ખૂબ સારી રીતે યોજનાઓને સરળ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter