સુરતઃ કહેવાય છે કે, ગુજરાત વિધાનસભા ક્યારેય અખંડ રહી નથી. ૬ ઓગસ્ટે સુરતના ચોર્યાસ મતવિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્ર ઉર્ફે રાજા પટેલનું મુંબઇમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન અવસાન થયું છે. ડેન્ગ્યુને કારણે તેમની તબિયત લથડતા સૌ પ્રથમ તેમને સુરતની મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, પરંતુ ઇન્ફેકશન થવાથી તેમને તાત્કાલિક સઘન સારવાર માટે એરએમ્બ્યુલન્સમાં મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. ચોર્યાસી તાલુકાના સુલતાનાબાદ ગામના વતની રાજાભાઈ પટેલ છેલ્લા ૨૫ વર્ષથી કોળી પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા. સુલતાનાબાદ ગ્રામ પંચાયતના સરપંચથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર રાજાભાઈએ સહકારી અને શિક્ષણ ક્ષેત્રે પણ આગવી નામના મેળવી હતી.
૧૩મી વિધાનસભા ચોથીવાર ખંડિત થઈ
ગુજરાત વિધાનસભાની સભ્ય સંખ્યા ૧૮૨ની છે પરંતુ ક્યારેય પૂરેપૂરી સંખ્યા ટર્મ દરમિયાન રહેતી નહિ હોવાની માન્યતા ફરીથી સાચી પડી છે. રાજાભાઈના અવસાનથી ૧૩મી ગુજરાત વિધાનસભાની સભ્ય સંખ્યા ચોથી વાર ઓછી થઈ છે. વર્ષ ૨૦૧૨માં ૧૩મી વિધાનસભાની ચૂંટણીના પરિણામના દિવસે જ કોંગ્રેસના મહિલા ધારાસભ્યના અવસાનથી પ્રથમ દિવસથી જ ૧૮૨નો આંકડો પૂર્ણ થઈ શક્યો ન હતો. ત્યાર પછી પણ બે ધારાસભ્યના અવસાન થયા હતા.