સુરતઃ લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હોવાનું ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. હવેથી આ વિસ્તારમાં મિલકતનું વેચાણ કરવા અગાઉ સુરત કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. જાડેજાની વધુમાં કહ્યું હતું કે, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ સાથે જરૂરી ચર્ચા પછી શહેરના ધારાસભ્યો, નાગરિકોની રજૂઆતોને ધ્યાને લઇને સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. લિંબાયત પોલીસ સ્ટેશન તથા રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંતધારો લાગુ પાડવા જાહેરનામું પણ પ્રસિદ્વ કરી દીધું છે. જાડેજાએ કહ્યું કે, સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસાજિક તત્ત્વો દ્વારા ધાકધમકીથી મિલકતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોની નાગરિકોએ સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે.