સુરતઃ સૌરાષ્ટ્ર પટેલ સમાજ દર વર્ષે સામાજિક જાગૃતિની થીમ સાથે સમૂહલગ્નનું આયોજન કરે છે. નવા વર્ષે ૬૦માં સમૂહલગ્નનું' આયોજન છે. આ વર્ષે ‘આપઘાત રોકો’ થીમ પર સમૂહલગ્નનું આયોજન કરવામાં આવશે. આ સમૂહલગ્નમાં ૨૭૫ જેટલા નવ યુગલ લગ્નગ્રંથીથી જોડાશે. સમૂહ લગ્ન પહેલા સમાજમાં વિવિધ કાર્યક્રમો યોજીને આપઘાત રોકવા માટેના કાર્યક્રમો યોજવામાં આવશે.
૧૭. ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ તમામ નવયુગલો અને તેમના પરિવારોને આપઘાત નહીં કરવા પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે. સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા ૪૦ હજાર જેટલી કંકોતરી છાપવામાં આવશે. અને આ કંકોતરીમાં આપઘાત કેવી રીતે ટાળી શકાય એવા સંદેશાઓ દર્શાવાશે. આ સમૂહલગ્ન સમારોહમાં ૨૦૦ જેટલા એનજીઓ જોડાશે. આ તમામ એનજીઓ આપઘાત રોકવા માટે જુદા જુદા કાર્યક્રમો કરશે. ‘આપઘાત રોકો’ની થીમ આધારિત કાર્યક્રમોમાં ૩૦૦૦થી વધુ લોકો ભાગ લેશે.
સુરત સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે લગ્ન મંડપમાં જુદા જુદા સામાજિક સંદેશાઓ આપવાનું પ્લેટફોર્મ બને એવો પ્રયાસ કરીશું. લગ્નમાં ખોટા ખર્ચને બચાવી ઇન્વેસ્ટ કેવી રીતે કરવું અંગે સેમિનાર્સનું આયોજન કરવામાં આવશે. તમામ યુગલો માટે પણ સેમિનારનું આયોજન કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા ૧૯૮૩થી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. લગ્ન કરવા એટલે પક્ષકારોને આર્થિક રીતે મદદ કરવું એ નહિં પરંતુ સમાજને નવો વિચાર આપવાનો છે.