અમદાવાદઃ મોટા ભાગના ગુજરાતીઓ દિવાળી વખતે પ્રવાસ કરવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે. દિવાળીના વેકેશનમાં માત્ર દેશમાં નહીં વિદેશમાં ક્યાંય પણ ફરવા જવાનું ગુજરાતી પર્યટકો પસંદ કરે છે. એક સર્વે પ્રમાણે, ગુજરાતમાંથી જ દિવાળીની રજાઓમાં ૩૦ હજારથી વધુ લોકો વિદેશ ફરવા માટે જતા હોય છે, પરંતુ આ વખતે કોરોના વાઈરસના સંક્રમણને લીધે સંપૂર્ણ સ્થિતિ બદલાઈ ગઈ છે. વિદેશ અવર-જવર માટેની સામાન્ય ફ્લાઈટ બંધ છે. આ વખતે ગુજરાતીઓના વિદેશ પ્રવાસે નહીં જવાથી રાજ્ય ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને રૂ. પ૦ કરોડથી વધુ નુકસાનનો સામનો કરવો પડશે. તેવો અંદાજ છે.
ગત વર્ષે ૨૭મી ઓક્ટોબરે દિવાળીનો તહેવાર હતો. ગત વર્ષે ઓક્ટોબર-નવેમ્બર એમ બે માસમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૩.૮૯ લાખ મુસાફરોની અવર-જવર વિદેશ માટે નોંધાઈ હતી. આવી જ રીતે ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૭માં ૩.૧૫, ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૮માં ૩.૪૫ લાખ મુસાફરોની અવર-જવર વિદેશ માટે હતી. દર વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન વિદેશ ફરવા જનારાઓની સંખ્યા સતત વધારો થઈ રહ્યો હતો. ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાઓના મતે દિવાળીની રજાઓમાં ફક્ત ગુજરાતમાંથી ૫૦ હજારથી વધુ લોકો ફરવા માટે જઈ રહ્યા હતા. જેના કારણે ગુજરાતની ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીને દિવાળી દરમિયાન ગુજરાતીઓના વિદેશ જવાથી જ રૂ. ૪૫ કરોડથી રૂ. ૫૦ કરોડનું ટર્ન ઓવર થતું હતું, પરંતુ કોરોના પગલે આ વખતે વિદેશ પ્રવાસ બંધ હોવાથી ગુજરાતની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.