અમદાવાદઃ રમતગમત ક્ષેત્રમાં યુવાઓને તક મળે તે દિશામાં સરકાર પ્રયત્નશીલ છે. આગામી દિવસોમાં દેશમાં સ્પોર્ટ્સ ક્ષેત્રમાં પણ એક નવી પોલીસી ઘડવામાં આવશે જેના કારણે રમતવીરોને પ્રોત્સાહન મળી રહેશે. અમદાવાદમાં ખેલમહાકુંભના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન કિરણ રિજ્જુએ આ જાહેરાત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આગામી દિવસોમાં ગુજરાતમાંથી રમતગમત ક્ષેત્રમાં યુવા પ્રતિભા બહાર આવશે. આ વર્ષે ખેલ મહાકુભમાં ૪૬ લાખ રજિસ્ટ્રેશન કરાવી રમતવીરોએ એક વિક્રમ સર્જયો હતો.
રવિવારે અમદાવાદના સંસ્કારધામમાં રાજ્યના ૧૦મા ખેલમહાકુંભનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે દિગ્ગજ ખેલાડી એમ. સી. મેરીકોમ, વિશ્વનાથ આનંદ, પુલ્લેગા ગોપીચંદ અને દીપા મલિક પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફૂટબોલને કીક મારીને ખેલ મહાકુંભને ખુલ્લો મૂક્યો હતો.