આણંદઃ આણંદ જિલ્લા ક્ષત્રિય સેનાના બે વર્ષ પૂર્ણ થતાં સંસ્થાના પ્રમુખ સુનિલસિંહ પરમાર સહિત હોદ્દેદારોએ ખુલ્લા પ્લોટમાં લોક ડાયરાનું આયોજન કર્યું હતું. આ લોકડાયરાના કલાકાર રાજદાન ગઢવી અને નરેશદાન ગઢવીને સાંભળવા માટે ૨૦ હજારથી વધુ લોકો ઊમટ્યા હતા. ડાયરામાં કલાકારોનું સ્વાગત કરવા આણંદના ધારાસભ્ય કાન્તિભાઈ સોઢા પરમારના પુત્ર મહેન્દ્રસિંહ અને રણજિતસિંહ સહિત કેટલાકે બંદુકમાંથી સતત ૧૫ મિનિટ સુધી હવામાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે સ્થળ પર તપાસ કરીને આણંદના ધારાસભ્યના પુત્રો સહિત ૧૨ માણસો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.આ કેસમાં ધારાસભ્યોના પુત્રોએ જણાવ્યું હતું કે તેમની પાસે ગનનું લાયસન્સ હતું. જોકે પોલીસે કહ્યું કે ભયનો માહોલ ઊભો કરવા બદલ આ કેસમાં તપાસ ચાલે છે.


