ગાંધીનગરઃ મહેસાણા જિલ્લાના ગણેશપુરા, ઈન્દ્રડ અને નંદાસણના પાલા કેન્દ્રમાંથી ગણિત, ગુજરાતી અને વિજ્ઞાન ટેકનોલોજી વિષયની ૧.૪૦ લાખ ઉત્તરવહીઓ ભરેલા ૩૫૦ થેલા કેશોદ, ઉપલેટા, વિરપુર અને જૂનાગઢ મોકલવા ખાનગી બસ તાજેતરમાં રવાના કરાઈ હતી. જે પૈકી કુલ ૧૬૦૦ ઉત્તરવહીઓ ભરેલા ૪ થેલા રસ્તામાં પડી ગયા હતા. જેમાંથી ત્રણ સીલપેક થેલા હાથ લાગ્યા હતા જ્યારે અન્ય એક થેલામાંથી ઉત્તરવહીઓ વેર વિખેર થઈ ગઈ હતી. વીખેરાયેલી ૪૦૦ ઉત્તરવહીઓ પૈકી અત્યાર સુધીમાં માત્ર ૧૫૦ ઉત્તરવહીઓ બોર્ડના અધિકારીઓને મળી છે જ્યારે હજુ ૨૫૦ ઉત્તરવહીનો કોઈ પતો લાગ્યો નથી. શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે કે, બોર્ડે ઉત્તરવહી ટ્રાન્સપોર્ટેશનની કામગીરી સોંપી હતી, પણ બેદરકારીને કારણે ત્રણ શિક્ષક, બે પોલીસ ગાર્ડ, ડ્રાઈવર-કંડક્ટર તથા પાલા નિયામક એમ કુલ ૮ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.