અમદાવાદઃ ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી વર્ષ ૨૦૨૩માં પૂર્ણ થઈ જશે તેવો ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધોલેરા એરપોર્ટ માટે કોઈ જમીન સંપાદિત નહીં કરાઈ હોવાનો દાવો કરાયો છે.
૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ ધોલેરા કાર્ગો એરપોર્ટની કામગીરી ક્યા તબક્કામાં છે તેવા ગુજરાત વિધાનસભાની તારાંકિત પ્રશ્નોત્તરીમાં ઉદ્યોગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા ઉત્તર અપાયો છે કે ધોલેરા એરપોર્ટ પ્રોજેક્ટને સંરક્ષણ મંત્રાલય દ્વારા નો ઓબ્જેક્શન, ઉડ્ડયન મંત્રાલયમાંથી સાઈટ મંજૂરી - સૈદ્ધાંતિક મંજૂરી તેમજ પર્યાવરણ વિભાગમાંથી પર્યાવરણ મંજૂરી મળી ગઈ છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે ધોલેરા એરપોર્ટ વર્ષ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થશે. ધોલેરા એરપોર્ટની કામગીરી માટે એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ નિયુક્તિની પ્રક્રિયા પૂર્ણતાને આરે છે. એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટની કામગીરી બાદ ધોલેરા ઈપીસી કોન્ટ્રાક્ટરની નિયુક્તિ કરાશે.