અમદાવાદઃ રાજ્ય શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસામાની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી શંકાના દાયરામાં હતી, તે વર્ષ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોને રદ ઠેરવ્યાં છે. આ ચૂંટણામાં ધોળકાની બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ ચૂંટણીમાં ગેરરીતિથી ચૂડાસમાએ જીત મેળવી હોવાનો આક્ષેપ કરતી અરજી કરી હતી. ગુજરાત હાઈ કોર્ટે આ અંગે ચુકાદો આપતાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભાજપ પક્ષ પણ મુશ્કેલીમાં મુકાયો છે. કોરોના વાઈરસના ફેલાવા વચ્ચે ગુજરાત સરકાર માટે આ બીજી મુશ્કેલી ઊભી થઈ છે. જોકે આ ચુકાદા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની તૈયારી ચૂડાસમા દર્શાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પર માંડ ૩૨૭ મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે ચૂડાસમા જીત્યા હતા ત્યારે કોંગ્રેસે તેમની આ જીતને હાઈ કોર્ટમાં પડકારી હતી.
બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યુ હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનિતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત આક્ષેપો થયાં હતાં કે, ચૂંટણી વખતે આચારસંહિતા હતી ત્યારે ભૂપેન્દ્ર ચૂડાસમાને ફાયદો થાય તે માટે ગૌરાંગ પ્રજાપતિની બદલી કરીને તેમના સ્થાને ધવલ જાનીને ડે. કલેક્ટર બનાવાયા હતા.
ભાજપ ભૂપેન્દ્રભાઈ સાથેઃ નીતિન પટેલ
હાઈ કોર્ટના ચુકાદા પછી સૌપ્રથમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ તમારી સાથે જ છે. તેમણે જણાવ્યું કે, હાઈ કોર્ટના ચુકાદા સામે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ૪૧ કાયદાકીય સલાહ મેળવીને આગળની કાર્યવાહી કરશે. સુપ્રીમ કોર્ટમાં ન્યાય મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.