અમદાવાદ: આજે જલસાગર અને જનસાગરનું મિલન થયું છે. મારું સૌભાગ્ય છે કે આજના દિવસે મને મા નર્મદાના દર્શન અને પૂજાનો અવસર મળ્યો છે. પોતાના ૭૦મા જન્મદિને નર્મદા નીરના નાળિયેર અને ચુંદડીથી વધામણા કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો કહ્યા હતા. નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી પ્રસંગે મંગળવારે કેવડિયા કોલોની પહોંચેલા મોદીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે હું તમામ ગુજરાતીઓને નર્મદા ઉત્સવ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું. ચાર રાજ્યોની પ્રજા અને ખેડૂતોને આનો લાભ મળી રહ્યો છે. અહીં પ્રકૃતિ તથા વિકાસનો અનુભવ થયો છે અને સરદાર પટેલની ભવ્ય પ્રતિમા આપણને આશીર્વાદ આપતી જણાય છે.
મોદીના જન્મદિન અને સરદાર સરોવર બંધની જળ-સપાટી ૧૩૮.૬૮ મીટરના સર્વોચ્ચ સ્તરે સ્પર્શી તે ઐતિહાસિક અવસરે રાજ્ય સરકારે ઉજવણીનું આયોજન કર્યું હતું. નમામિ દેવી નર્મદે મહોત્સવના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં નાના-મોટા ગામથી માંડી નગરો અને શહેરોમાં તળાવ, નદી, ડેમ પર જળપૂજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી માંડીને સાફસફાઇના કાર્યક્રમો યોજાયા હતા.
મોદીએ ૩૬ મિનિટ સંબોધન કર્યું હતું. જેમાં કોઈ પણ રાજકીય અવલોકન કર્યા વગર માત્ર વિકાસની જ વાતો કરી હતી. મોદીએ ‘નમામિ દેવી નર્મદે અને કેમ છો?ના સંબોધન સાથે જાહેર સભાની શરૂઆત કરી હતી, અને ‘આવજો...’ કહીને સંબોધન પૂર્ણ કર્યું હતું. આ પ્રસંગે મોદી સાથે ગવર્નર આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન વિજય રુપાણી સહિતના વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાને કહ્યું હતું કે પહેલાં નર્મદા ડેમ ૧૨૨ મીટર ભરાયો હોય તે મોટી સિદ્ધિ મનાતી હતી. આજે ડેમ ૧૩૮ મીટર ભરાયો તે મોટી સિદ્ધિ છે. આજની સિદ્ધિએ પહોંચાડવા માટે સામાન્યમાં સામાન્ય માણસનું પણ યોગદાન રહ્યું છે. આ ઉપરાંત અનેક સંગઠનો અને સાધુસંતોનું પણ યોગદાન રહ્યું છે. આજે તળાવો અને નદીઓની સાફસફાઇનું કામ થઇ રહ્યું છે. આવનારા દિવસોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ થવાનું છે. આજની પ્રેરણા હેઠળ જળ જીવન મિશન આગળ વધવાનું છે. ગુજરાતના ગામેગામમાં જનભાગીદારીથી કામો થઇ રહ્યા છે.
આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં મા નર્મદાની કૃપા થઇ રહી છે આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે પહેલાં સપ્તાહો સુધી પાણી મળતું ન હતું. ગોળીઓ પણ ચાલતી હતી. પાણીના રમખાણ થતા હતા. મને યાદ છે વર્ષ ૨૦૦૦માં રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં હિંદુસ્તાનમાં પહેલી વખત પાણીની ટ્રેન ચલાવી પડતી હતી. સિંચાઇનું કામ અટકી પડ્યું હતું, પણ ગુજરાતના લોકોએ હિંમત ન હારી. આજે સિંચાઇનું વ્યાપક નેટવર્ક ઉપલબ્ધ છે. પહેલાં ૧૪ હજાર હેક્ટરમાં સિંચાઇની સુવિધા હતી અને માત્ર ૮૦૦૦ ખેડૂતો લાભ લેતા હતા. હવે ૧૨ લાખ ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે.
નર્મદાના નીર પારસસમાન
કચ્છમાં નર્મદાના નીર પહોંચ્યા ત્યારે મેં કહ્યું હતું કે, આ પારસ સાબિત થશે અને આજે ગુજરાત માટે નર્મદાનું પારસ સિદ્ધ થઇ રહ્યું છે. નર્મદાનું પાણી નહીં, પણ પારસ છે, આ પાણી માટીને અડે છે, ત્યારે સોનું બનાવી દે છે. ૨૦૦૧માં ગુજરાતમાં ૨૬ ટકા ઘરોમાં નળથી પાણી આવતું હતું, આજે ૭૮ ટકા ઘરોમાં નળથી પાણી આવી છે. હર ઘર જલનો લક્ષ્યાંક પાર કરવાનો છે. પહેલાં ખેડૂત પારંપારિક પાક લેતા હતા. હવે હોર્ટીકલ્ચર, બાગાયત જેવી ખેતી કરી રહ્યા છે. સિંચાઇના કારણે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા સરકાર અનેક કદમ ઉઠાવી રહી છે. કેટલાક દિવસો પહેલા દુકાનદારો અને વેપારીઓ માટે પેન્શન યોજના શરૂ કરી છે, હવે ખેડૂતો માટે પણ થશે.
૧૧ માસ, ૨૩ લાખ પર્યટક
આજે ટુરિઝમની વાત આવે છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ અચૂક થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને માત્ર ૧૧ માસ થયા છે, ત્યારે ૨૩ લાખથી વધુ પર્યટક સરદાર પટેલ સ્ટેચ્યુ જોવા આવ્યા છે, પ્રતિદિન ૮૫૦૦ પર્યટકો આવે છે, જન્માષ્ટમીના દિવસે ૨૪ હજાર પર્યટકો આવ્યા હતા. આવનારા સમયમાં નવા પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે વધુ રોજગારી વધુ ઉભી થશે, લોકોને ચાર દિવસ રહેવાનું મન કરશે તેવું આ પર્યટન સ્થળ બનશે. તેમણે કહ્યું હતું કે આ દેશને પ્લાસ્ટિકથી બચાવવાનો છે. આખા દેશે તેના માટે પ્રયાસ કર્યો છે, આપણું જળ અને જમીન પ્લાસ્ટિકમુક્ત રહે તેવો દરેક નાગરિક સંકલ્પ કરે.
એક ભારત, શ્રેષ્ઠ ભારત
આજનો દિવસ સરદાર સાહેબ અને એકતા દિવસ માટે સ્વર્ણિમ પૃષ્ઠમાં લખાયો છે. ૧૯૪૮માં આજના દિવસે હૈદરાબાદનો દેશમાં વિલય થયો હતો. આ દેશની પ્રગતિમાં હૈદરાબાદનું મોટું યોગદાન છે. જો સરદારના હાથમાં આ કામ ન હોત તો ભારતનો નકશો અલગ હોત. આજે આપણું સપનું એક ભારત, શ્રેષ્ઠ ભારતનું છે. જે કામ અધુરા રહી ગયા છે, તે કામ સરકાર પૂરા કરશે. જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની નાબૂદી સાથે દસકાઓ પુરાણી સમસ્યાનો અંત આવ્યો છે. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે ભારતની એકતા માટે આપનો આ સેવક પૂરો પ્રતિબદ્ધ છે.
સરદારને સ્મરણાંજલિ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે ગાંધીનગરથી સીધા કેવડિયા ખાતે નર્મદાના નીરના વધામણા માટે પહોંચ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચતા પહેલાં વડા પ્રધાને હેલિકોપ્ટરમાંથી ઉતારેલો એક વીડિયો પોતાના ટ્વીટર પેજ પર શેર કર્યો હતો. જેમાં નર્મદા ડેમનો અદભુત નજારો ઉપરાંત સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરતે લગાવેલા ચક્કરના શોટ્સ સામેલ હતા. આ વીડિયોમાં જળરાશિથી છલોછલ સરદાર સરોવર ડેમ તેમજ નજર પહોંચે ત્યાં સુધી ડેમસાઈટ જોવા મળતી હતી. વડા પ્રધાને તેમની ટ્વીટમાં નર્મદા બંધ માટે સરદાર પટેલની પરિકલ્પનાનું સ્મરણ કરાયું હતું. ટ્વીટમાં વડા પ્રધાને લખ્યું હતુંઃ થોડા સમય પહેલાં જ કેવડિયા પહોંચ્યો. જરાક આ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નો ભવ્ય નજારો તો જુઓ. મહાન સરદાર પટેલને સમગ્ર ભારતની આ એક અદભુત સ્મરણાંજલિ છે.
સાડા પાંચ કલાક રોકાણ
સોમવારે રાત્રે જ ગુજરાત આવી પહોંચેલા નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવનમાં રાત્રિરોકાણ બાદ સવારે આઠ વાગ્યે હેલિકોપ્ટરથી કેવડિયા પહોંચ્યા હતા. અહીંયા તેમણે નર્મદા નીરના વધાણા કર્યા હતા. મોદીએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે આ મંચ પર બેઠો છું ત્યારે મગજ મારું જૂના જમાનાની યાદોમાં સરી પડ્યું હતું. મને મનમાં થતું હતું કે, કાશ આજે મારા હાથમાં કેમેરા હોત. ઉપરથી દૃશ્ય જોતો હતો કે, આજે કેવડિયામાં જલસાગર અને જનસાગરનું મિલન થયું છે. ફોટોગ્રાફી કરનારને આવું દૃશ્ય બહુ ઓછું જોવા મળે છે. મારું સૌભાગ્ય છે કે, મા નર્મદાના દર્શન અને પૂજાનો અવસર મળ્યો છે. જાહેર સભા સંબોધ્યા બાદ મોદી બપોરે દોઢ વાગ્યે ગાંધીનગર જવા નીકળ્યા હતા. આમ મોદી કેવડિયામાં પાંચ કલાક ૩૦ મિનિટ રોકાયા હતા.
વડા પ્રધાન મોદીએ જંગલ સફારી ટુરિસ્ટ પાર્ક, ખાલવણી ઈકો ટુરિઝમ સાઈટ, કેકટસ ગાર્ડન, સરદાર સરોવર ડેમ સાઈટ, બટર ફ્લાય ગાર્ડન, એકતા નર્સરીમાં ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટના પ્રોડક્શન સ્થળની મુલાકાત લીધી હતી. નર્મદા મૈયાની મહાઆરતી અને નીરના વધામણા કર્યા હતા. ગરૂડેશ્વર દત્ત મંદિરના દર્શન કર્યા હતા તેમજ નર્સરી વિશ્વ વનની મુલાકાત પણ લીધી હતી.
રાજભવનમાં બેઠકનો દોર
માતાને મળ્યા બાદ વડા પ્રધાન મોદી રાજભવન પહોંચ્યા હતા. અહીં તેમણે જ્યાં રાજકીય અગ્રણીઓ, બિઝનેસ ડેલિગેશન સાથે ચર્ચા કર્યાનું મનાય છે. આ ઉપરાંત ભાજપના પ્રદેશના નેતાઓ અને રાજ્ય પ્રધાનમંડળના સભ્યો સાથે પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અને તે દિવસે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા અંગે ચર્ચા કરી છે. આ બેઠકમાં અમદાવાદના મેયર બિજલ પટેલ અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે ફરી ગુજરાત આવશે. આ ઉપરાંત ૩૧ ઓક્ટોબરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક વર્ષ પુરું થઈ રહ્યું છે તેની ઉજવણી અને આયોજન અંગે અધિકારીઓ અને આગેવાનો સાથે ચર્ચા કરી છે. આ બેઠક બાદ વડાપ્રધાન મોદી વારાણસી જવા રવાના થયા હતા.