ગાંધીનગરઃ ૭૦મા જન્મદિવસે વતન ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન મોદી કેવડિયા ખાતે નમામિ દેવી નર્મદે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ બપોરે હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ માતા હિરાબાના આશીર્વાદ લેવા રાયસણ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તેમણે માતા સાથે કાંસાની થાળીમાં પુરણપોળી સાથે બપોરનું ભોજન જમ્યા હતા. માતા સાથે તેમણે અડધો કલાક જેટલો સમય વિતાવ્યો હતો. આ પછી ઘરમાંથી બહાર નીકળ્યા બાદ આસપાસના લોકો સાથે સેલ્ફી ખેંચાવી હતી. ત્યાર બાદ વડા પ્રધાન મોદી રાજભવન જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સમયે મતદાન કરવા ગુજરાત આવ્યા ત્યારે પણ વડા પ્રધાન મોદી માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ સમયે હિરાબાએ પુત્રને પોતાના હાથે લાપસી ખવડાવી હતી અને શુકનના ૫૦૧ રૂપિયા આપ્યા હતા.