ગુજરાતમાં કેટલાક આયોજકો સરકારને માગ કરી રહ્યાં છે કે નવરાત્રીનું આયોજન થવું જોઈએ બાકી કલાકાર જગતના લોકોની કમાણી પર ભારે આર્થિક ફટકો પડશે તો મેડિકલ એક્સપર્ટ્સનું માનવું છે કે નવરાત્રીના મોટા આયોજનો તો ઠીક પણ શેરી ગરબા પણ થાય તો કોરોના સંક્રમણનો વિસ્ફોટ થશે.
મેડિકલ એક્સપર્ટ્સના મતે, કોરોનાની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને માસ્ક પહેરીને ફરવું ફરજિયાત છે. જો માસ્ક પહેરીને ગરબા થાય તો ખેલૈયાઓને ગભરામણ થશે. આમ છતાં માસ્ક પહેરીને ગરબા રમવામાં આવે તો પરસેવામાં ભીના થશે તો વાઈરસ ફેલાવાનો ભય વધશે. માસ્ક પહેરીને ગરબા કરવાથી સિનિકોપી થતાં મસ્તિષ્કને લોહી ઓછું મળે તો વ્યક્તિ બેભાન થઈ શકે છે. હૃદયને ઓક્સિજન ઓછું મળે ધબકારા અનિયમિત થાય ને અસ્થામાનો એટેક પણ આવી શકે. માણસ જોગિંગ કરે તો પણ તેને શરીરમાં ૧૦થી ૨૦ ટકા વધુ ઓક્સીજનની જરૂર પડે ગરબા રમતાં વધુ ઓક્સિજન જોઈએ તે ખેલૈયાઓને ન મળે તો શરીરમાં ઓક્સીજનના પ્રમાણમાં ઘટાડો થશે. જેથી ગરબા રમતાં ચક્કર આવવા, બેભાન થવું જેવા કેસ બનશે. આ ઉપરાંત હાર્ટ ફેઈલ થવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
માસ્ક પહેરીને ગરબા શકય જ નથી
• ધીમા ગરબા જોગિંગની ઝડપે થાય છે અને ફાસ્ટ દોડવાની સ્પીડે થાય છે. ગરબા રમતાં રમતાં માણસને ૪૦થી ૫૦ ટકા વધુ ઓક્સીજનની જરૂર પડે છે. માસ્ક પહેરીને ગરબા રમાય ત્યારે પૂરતો ઓક્સીજન ન મળે તો ગૂંગળામણ થાય છે. તેથી ગરબા રમતાં શરીરમાં ઓક્સીજનની માત્રા ઘટે ત્યારે શ્વાસ લેવા માટે માસ્ક ઉતારવું પડે છે. જે ભયજનક છે.
• ગરબા રમતાં શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ઝડપી બને છે. શ્વાસમાંથી છૂટતા પાર્ટિકલ્સ સ્પ્રેની જેમ છૂટે છે અને તેની ગતિ પણ સામાન્ય કરતાં વધુ થઈ જાય છે. સામાન્ય શ્વાસોચ્છવાસમાં પાર્ટિકલ્સ ૩ ફૂટ દૂર ફેંકાય છે ગરબામાં તે ૬ ફૂટ સુધી ફેંકાય છે. આ સ્થિતિમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધે છે.
• ગરબા રમનાર વારંવાર પાણી પી શકે નહીં, જેથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે. શરીરમાંથી લોહતત્ત્વ અને ઈલેક્ટ્રલના વપરાશથી એનર્જી પણ ઓછી થવા લાગે અને શુગર લેવલ પણ ડાઉન થાય જેથી શરીરમાં નબળાઈ આવી શકે. આ સમયમાં ઈમ્યુનિટી ઓછી થવાથી કોરોના સંક્રમિત થવાની શક્યતા પણ વધે છે.
• નવરાત્રીના દિવસો દરમિયાન રોજિંદુ શિડ્યુલ અસ્તવ્યસ્ત થઈ જાય છે. દિનચર્યામાં નિયમિતતા ન જળવાય તેથી શરીરમાં વીકનેસ વર્તાય છે. ખાસ કરીને શારીરિક માનસિક રીતે નબળાઈ ધરાવતા લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે અને અત્યારે ઈમ્યુનિટી ઓછી થાય તે જોખમી છે.
• નવરાત્રીના મોટા આયોજન તો છોડો, પણ શેરી ગરબામાં પણ માનો કે વીસેક લોકો ભેગા થાય તેમાંથી માત્ર એક પણ કોરોના સંક્રમિત હોય તો તે બીજા પાંચને કોરોના સંક્રમિત કરે આ રીતે કોરોના સંક્રમણનો વિસ્ફોટ થઈ શકે છે.
- ડો. મોનાબહેન દેસાઈ
પ્રેસિડેન્ટ, અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA)
બેક્ટેરિયાથી લોકોને અસર
ગરબા રમતાં ધૂળ અને રજકણોના લીધે પણ તકલીફ ઊભી થઈ શકે છે. ખુલ્લા મેદાન કે શેરીમાં ગરબા રમતી વખતે ધૂળ ઉડશે તો કોરોના વાઈરસનો ભય વધવા સાથે જર્મ્સ – બેક્ટેરિયાને કારણે પણ લોકોના ઈમ્યુન પાવરને માઠી અસર પહોંચશે. આ ઉપરાંત માસ્ક પહેરીને ગરબા રમતાં શરીરમાંથી જેટલા પ્રમાણમાં કાર્બન ડાયોકસાઈડ બહાર નીકળવો જોઈએ એટલો નીકળે નહીં. ગરબા રમવાથી કાર્બન ડાયોકસાઈડ નાર્કોસિસની તકલીફ થાય છે. શારીરિક અને માનસિક થાક લાગે છે. જો માસ્ક પહેરીને ગરબા રમાય તો શોર્ટ બ્રિધથી સફોકેશન થાય છે જેથી માણસને બેભાન પણ થઈ શકે છે.
- ડો. વિરજ એ. શાહ
એમ ડી, હોમિયોપેથી
ઓક્સીજનની તંગી સર્જાશે
નવરાત્રીના આયોજનોની છૂટ અપાય તો ઘરડા લોકો પોતાની માન્યતાઓને કારણે ઘરમાંથી બહાર નીકળશે અને બાળકો ઘરની બહાર જવા માટે લલચાશે. યુવાનો ગરબા રમીને તેમની બોડીની એનર્જી ખર્ચી નાંખશે. શરીરને ઓક્સીજન પણ વધુ જોઈશે. વળી કોરોનાનો ચેપ લાગે તો પણ આ કિસ્સાઓમાં ઓક્સીજનની માત્રા વધુ જોઈશે. મહારાષ્ટ્રમાં હાલમાં ઓક્સીજનની અછત વધુ પ્રમાણમાં વર્તાઈ રહી છે. નવરાત્રીના આયોજનો થાય તો કોરોના કેસ વધશે અને ગુજરાતમાં પણ ઓક્સીજનની માગ વધી જશે. ઓક્સીજનની અછત ભારે મુશ્કેલી સર્જી શકશે.
- ડો. ઉર્વી બી. પારેખ
એમ ડી, મેડિસીન
રાત્રે ૯થી સવારે ૭ કર્ફ્યુ જ લગાવી દેવો જોઈએ
નવરાત્રીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ શકે નહીં. વળી લોકોની વ્યક્તિગત સાવચેતીની માનસિક્તા અલગ હોય છે અને ટોળાની માનસિક્તા અલગ હોય છે. દેશમાં વસ્તી પ્રમાણે કોવિડ સંક્રમિતો આશરે ૧ ટકા જેટલા હોઈ શકે, પણ કોરોનાની શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અસર દેશની ૧૦૦ ટકા વસ્તીને પહોંચે. કોરોના સંક્રમિતોની શારીરિક હાનિ કરતાં પણ કોરોનાથી લોકોને પહોંચેલી માનસિક, આર્થિક, સામાજિક હાનિની અસરનો સમયગાળો ઘણો લાંબો રહેશે. જેઓ સંક્રમિત છે તેના માટે પણ અને જેઓ સંક્રમિત નથી થયા એ સર્વે માટે પણ. આ માટે જ કોરોનાથી થતી અસરને ગંભીરતાથી સમજીને તે વધુ ન ફેલાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ અને નવરાત્રીમાં તો રાત્રે ૯થી સવારે ૭ વાગ્યા સુધી કર્ફ્યુ જ લગાવી દેવો જોઈએ.
ડો. હંસલ ભચેચ
સાયકાયટ્રિસ્ટ