ગાંધીનગરઃ ગુજરાતી સાહિત્યના મહાગ્રંથ તરીકે ઓળખાવાતી ‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા હવે આંતરરાષ્ટ્રીય ફ્લક ઉપર મુકાવા જઈ રહી છે. ચાર ભાગમાં વહેંચાયેલી આ નવલકથાનો ૪૫૬ પાનાં ધરાવતો પ્રથમ ભાગનો અંગ્રેજી તરજૂમો ગત ઓગસ્ટમાં બહાર પડયો, એ પછી હવે બીજો ૨૦૦ પાનાંનો ભાગ પણ બજારમાં મુકાયો છે. આ બીજો ભાગ એ સમગ્ર ‘સરસ્વતી ચંદ્ર’ મહાગ્રંથનું હાર્દ છે અને સૌથી લોકભોગ્ય અને રોચક છે, જેમાં આધુનિક સમાજને પ્રેરણા આપતી ૧૯મી સદીની સંયુક્ત અવિભાજ્ય કુટુંબ વ્યવસ્થા બખૂબી વર્ણવાઈ છે. મૂળ નવલકથાકાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની રસાળતા, મૌલિકતા જાળવી રાખીને ત્રિદીપ સુહૃદયે સુંદર રીતે નવલકથાનો અનુવાદ કર્યો છે.
‘ગુણસુંદરીનો ઘરસંસાર’ એ મૂળ નામથી બીજા ભાગમાં ૨૫-૩૦ કાવ્યો આવે છે, જેની અંગ્રેજીમાં રજૂઆતમાં પણ લયબદ્ધ રીતે કરવામાં આવી છે. નવલકથાનો ત્રીજો ભાગ ૨૦૧૬માં બહાર પડશે, જ્યારે ચોથો અને અંતિમ ભાગ-૨૦૧૭માં તૈયાર થશે.

