અમદાવાદઃ હીરાપુરના દિલ્હી પબ્લિક સ્કૂલના કેમ્પસમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી તામિલનાડુના વાલીને બે સંતાનોની કસ્ટડી મળી, પરંતુ તેમની બે લાપતા દીકરીના મુદ્દે હાઈ કોર્ટમાં થયેલી હેબિયસ કોર્પસ અરજીમાં નાટયાત્મક વળાંક આવ્યો છે.
બન્ને લાપતા દીકરીઓ લોપામુદ્રા અને નિત્યાનંદિતાએ જમૈકાના કિંગ્સ્ટનથી સોગંદનામુ કરીને જણાવ્યું છે કે તેઓ દબાણને વશ થઇને નહીં, પોતાની મરજીથી વિદેશમાં છે. આ સોગંદનામુ તેમણે ભારતીય હાઈ કમિશનના માધ્યમથી રજૂ કર્યું છે. સોગંદનામા બાદ, હાઈ કોર્ટે આ અરજીના નિકાલનું વલણ દર્શાવ્યું હતું. જોકે અરજદાર પિતાના વકીલે આ સોગંદનામાનો આકરો વિરોધ કર્યો છે. હાઈ કોર્ટે આદેશ કર્યો છે કે, અરજદારને જે પણ વાંધો હોય તે સોગંદનામા દ્વારા રજૂ કરે. આ કેસની વધુ સુનાવણી ૨૪ જાન્યુઆરીએ હાથ ધરાશે.
યુવતીઓના વકીલની રજૂઆત હતી કે, બંને બહેનો તેમની ઈચ્છાથી વિદેશમાં રહે છે. તેમના પર કોઈ દબાણ નથી. કોઈએ તેમને ગોંધી રાખી નથી અને તેઓનું અપહરણ પણ થયું નથી. રજૂ કરેલા તમામ ટ્રાવેલ દસ્તાવેજ સાચા છે. તેઓ વીડિયો કોન્ફરન્સથી નિવેદન આપવા તૈયાર છે. તેમના પિતા કોર્ટને ગેરમાર્ગે દોરે છે. પિતાએ નિત્યાનંદ સામે પોક્સો હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધવા ધમકી આપી હતી. તેમના પિતાએ લોકોની નજરે તેમને રૂપલલના બનાવી દીધી છે. માતા માનસિક રોગી છે.
બીજી તરફ, અરજદાર પિતાના વકીલની રજૂઆત હતી કે, વિઝા ઓન અરાઈવલ હોય તેવા પાંચ દેશોમાં આ બંને યુવતીઓને ફેરવવામાં આવી છે. યુવતીઓએ હાઈ કમિશન સમક્ષ સોગંદનામું કર્યું ત્યારે ઓફિસ બહાર નિત્યાનંદના બંદૂકધારીઓ હાજર હતા.
બન્ને યુવતીના પિતાએ માગણી કરી હતી કે આ કેસની તપાસ માટે હાઈ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં કોર્ટ કમિશનની રચવું જોઇએ. જે યુવતીને મળે ત્યાં સુધી હાઈ કમિશન તેમની કસ્ટડી રાખે.