નિમરત કૌર દીવના ગંગેશ્વર મહાદેવના દર્શને

Saturday 22nd August 2026 08:50 EDT
 
 

બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌરે દીવના સમુદ્રકિનારે આવેલા પ્રખ્યાત ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. નિમરતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને મંદિરમાં પૂજન કરતો વીડિયો શેર પણ કર્યો છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ નિમરતે ભગવાન મહાદેવની પૂજા કરતાં પોસ્ટમાં શુભકામનાઓ આપતાં લખ્યું હતુંઃ ‘મહાદેવના દિવ્ય આશીર્વાદ આપણી તમામ મુશ્કેલીઓ દૂર કરે અને આપણને અંદરથી મજબૂત બનાવે. સૌને શ્રાવણ શિવરાત્રીની શુભેચ્છાઓ. નમઃ પાર્વતીપતયે હર હર મહાદેવ!’

પ્રકૃતિ અને આસ્થાનો અદ્ભુત સંગમ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવથી ત્રણ કિમીના અંતરે આવેલા ફુદમ ગામ નજીક અરબી સમુદ્ર કિનારે આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર અનોખું છે. અહીં પાંચ શિવલિંગ બિરાજમાન છે, જેની સ્થાપના મહાભારત કાળમાં પાંડવોએ કરી હોવાનું મનાય છે. ભરતી સમયે સમુદ્રના મોજાં આ શિવલિંગોનો કુદરતી અભિષેક કરે છે, જે ભક્તો માટે આસ્થાનો અદ્ભુત અનુભવ છે.

શિવભક્તિનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે મહાદેવ પર જળાભિષેક કરવો ખૂબ જ શુભ મનાય છે. જોકે આ પાંચ શિવલિંગ પર ખુદ સમુદ્ર દેવ અભિષેક કરે છે. સમુદ્ર કિનારાના ખડકો વચ્ચે આવેલું આ મંદિર કદમાં ભલે ભવ્ય ન હોય, પરંતુ તેની અનોખી વિશેષતાને કારણે ખૂબ જ ખાસ છે.

પાંડવોએ સ્થાપ્યા છે આ શિવલિંગ

અહીં પાંચ શિવલિંગ એકસાથે બિરાજમાન છે અને આ જ આ સ્થાનની સૌથી મોટી ઓળખ છે. સ્થાનિક માન્યતા અને ધાર્મિક પરંપરા અનુસાર, મહાભારત કાળમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંચ પાંડવો આ વિસ્તારમાં આવ્યા હતા. પાંડવોએ અહીં ભગવાન શિવની આરાધના કરી અને પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી. કહેવાય છે કે પાંચેય શિવલિંગનો આકાર અલગ-અલગ છે. માન્યતા અનુસાર પહેલું શિવલિંગ યુધિષ્ઠિર, બીજું ભીમ, ત્રીજું અર્જુન, ચોથું સહદેવ અને પાંચમું નકુલ સાથે જોડાયેલું છે. પાંડવોએ પોતાની ઊંચાઈ (કદ) મુજબ આ શિવલિંગ બનાવ્યા હતા.

ભરતીના સમયે સમુદ્ર કરે છે અભિષેક

ગંગેશ્વર મહાદેવ મંદિર સમુદ્રની એકદમ નજીક આવેલું છે. જ્યારે સમુદ્રમાં ભરતી આવે છે ત્યારે અરબી સમુદ્રના મોજાં ખડકો વચ્ચેથી આગળ વધે છે અને શિવલિંગ સુધી પહોંચી જાય છે. સમુદ્રનું પાણી શિવલિંગને સ્પર્શ કરે છે અને આ રીતે ભગવાન શિવનો કુદરતી જળાભિષેક થાય છે. મોજાં આવે છે, શિવલિંગને સ્પર્શ કરે છે અને ફરી સમુદ્રમાં સમાઈ જાય છે. આ દ્રશ્ય ભક્તો માટે અત્યંત આધ્યાત્મિક અને અદ્ભુત અનુભવ હોય છે.

ઓટના સમયે સ્પષ્ટ દેખાય છે પાંચેય શિવલિંગ

જ્યારે સમુદ્રમાં ઓટ આવે છે ત્યારે પાણીનું સ્તર નીચે ઉતરી જાય છે અને ખડકો વચ્ચે આવેલા પાંચેય શિવલિંગ વધુ સ્પષ્ટ રીતે દેખાય છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે ભરતી અને ઓટના સમયનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એક તરફ વિશાળ અરબી સમુદ્ર, બીજી તરફ કુદરતી ખડકો અને આ બધાની વચ્ચે ભગવાન શિવના પવિત્ર શિવલિંગ. સમુદ્રના મોજાંનો અવાજ અને હર-હર મહાદેવના નાદથી અહીંનું વાતાવરણ ભક્તિમય બની જાય છે.

પ્રકૃતિ અને આસ્થાનો અદ્ભુત સંગમ

શ્રાવણ માસ અને મહાશિવરાત્રી જેવા પવિત્ર અવસરો પર અહીં શ્રદ્ધાળુઓની વિશેષ આસ્થા જોવા મળે છે. ભક્તો ભગવાન શિવને જળ, બિલીપત્ર અને ફૂલ અર્પણ કરીને પૂજા-અર્ચના કરે છે. ગંગેશ્વર મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ પ્રકૃતિ અને આસ્થાના અદ્ભુત સંગમનું પણ પ્રતિક છે. દીવ આવતા પ્રવાસીઓ માટે સમુદ્ર કિનારો, કુદરતી ખડકો અને સમુદ્ર વચ્ચે આવેલું આ અનોખું મંદિર એક અલગ જ અનુભવ પૂરો પાડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter