ગાંધીનગરઃ જાસપુરમાં વિશ્વિ ઉમિયા ફાઉન્ડેશનના શિલાયન્સ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સૌરભ પટેલ, પ્રદીપસિંહ જાડેજા સહિતના ભાજપના ટોચના નેતાઓની હાજરીમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સ્ફોટક નિવેદન કર્યું હતું કે, હું છતાં ઊભો છું. તેમાં મા ઉમિયાનાં આશીર્વાદ છે, મારામાં પાટીદાર લોહી છે. નીતિન પટેલના સંબોધન પહેલાં જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું અને કાર્યક્રમમાંથી વિદાય લીધી હતી. નીતિન પટેલના નિવેદન પછી રાજકીય વિવાદ ઊભો થયો છે.
૧૫ ધારાસભ્યો લાવો તો...
નીતિન પટેલના નિવેદન બાદ ગૃહમાં લાઠી બેઠકના કોંગી ધારાસભ્ય વીરજી ઠુમરે કહ્યું હતું કે, નીતિનભાઇ ૧૫ ધારાસભ્યો લઇ આવો તો કોંગ્રેસનો તમને મુખ્ય પ્રધાન બનાવવા ટેકો છે. જ્યારે ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ પર કટાક્ષ કરતાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, નીતિનભાઇ, હું તમારા સમર્થનમાં આવ્યો છું, આવતા રહો કોંગ્રેસમાં, કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે.
‘પહેલા તમારું ઘર સંભાળો’
જોકે વીરજી ઠુમરને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રોકડું પરખાવ્યું હતું કે, ૧૨ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડયો હતો એનું શું? પહેલાં તમારું ઘર તો સંભાળો. જ્યારે પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, પટેલ એકલા નથી, અમે સાથે છીએ. સમગ્ર પ્રધાનમંડળ અને ભાજપના તમામ ધારાસભ્યો અને ભાજપ પાર્ટી નીતિન પટેલની સાથે છે. પ્રદીપસિંહને પ્રત્યુત્તર આપતાં ઠુમરે કહ્યું હતું કે, ભાઇ તમારામાં પણ આખા પ્રધાનમંડળના સભ્યો વડા પ્રધાન અને અમિતભાઇના પ્રયત્નોથી ઇમાનદાર બનીને પાછા આવ્યા હતા.
નીતિન પટેલે સ્થિતિ કહી
ઉલ્લેખનીય છે કે, વિશ્વિ ઉમિયા ફાઉન્ડેશનના શિલાયન્સ કાર્યક્રમમાં ભાજપના નેતાઓની હાજરીમાં ભાજપની આંતરિક સ્થિતિ અને સરકાર અને પક્ષમાં તેમના સ્થાનની વાસ્તિવિકતા સ્પષ્ટ કરતાં નીતિન પટેલે કહ્યું હતું કે, હું એકલો છું, મારી સામે બધા છે છતાં ઊભો છું, અનેક લોકો મને ભૂલવાનો પ્રયાસ કરે છે, પણ હું કોઇને ભૂલતો નથી. અહીંયા સુધી એમ જ પહોંચી ગયો નથી.
આ પછી મંચ પર બેઠેલા ભાજપના જ ધારાસભ્યો સામે જોઇએ હસીને કહ્યું કે, આ બધાને પૂછો, તમે દરરોજ પેપર અને ટીવીમાં જોતા હશો કે બધા એક બાજુ અને હું એકલો છું. આ પણ, મા ઉમિયાના આશીર્વાદથી. હું અહીં છું કારણ કે લોહી પાટીદારનું છે.