નેપાળ યાત્રાનાં નામે ૧,૧૫૨ લોકો સાથે ઠગાઇ

Wednesday 08th April 2015 07:30 EDT
 

અમદાવાદઃ રામકથાના નામે ૧,૧૫૨ જેટલા ભક્તો પાસેથી ૯ હજાર લેખે અધધધ... એક કરોડ રૂપિયા ખંખેરી વિશ્વાસઘાત કરવાના કેસમાં ઘાટલોડિયા પોલીસે સંચાલક પિતા-પુત્રની ધરપકડ કરી છે. આરોપી નટુભાઇ પટેલ અને તેનો પુત્ર દીપક પટેલ લોકસેવા વિચાર ટ્રસ્ટના નામે પૈસા ખંખેરતા પોલીસે તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. ૧,૧૫૨ લોકોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનના ભક્તોનો સમાવેશ થાય છે. નેપાળના જનકપુરી પાસે આવેલા પશુપતિનાથમાં આયોજિત રામકથામાં લોકસેવા વિચાર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓને લઇ જવાના હતા.

લોક વિચાર સેવા ટ્રસ્ટના નટુભાઇ મોહનભાઇ પટેલ અને પુત્ર દીપક પટેલ (રહે. સૌંદર્ય વિહાર એપા., ઘાટલોડિયા) દ્વારા નેપાળના જનકપુરી પાસેના પશુપતિનાથમાં આયોજિત રામકથામાં ભાગ લેવા માટે ગુજરાતભરમાંથી ૧,૧૫૨ જેટલા શ્રદ્ધાળુઓ આબુથી સીતામઢી જતી ટ્રેનમાં શનિવારે રાત્રે જવાના હતા. જોકે મુંબઇના રેલવે એજન્ટ મહેશ બી. સોનીએ બુક કરાવેલી આખે આખી ટ્રેન છેલ્લી ઘડીએ જ રદ્દ કરાતા સાબરમતી રેલવે સ્ટેશન પર હજારો મુસાફરો રઝળી પડયા હતા. છેલ્લી ઘડીએ ટ્રેન રદ કરી હોવાની જાણ કરાતા યાત્રાળુઓને મૂકવા આવેલા પરિજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આખરે રેલવે પોલીસે જાણવાજોગ દાખલ કરીને રાણીપ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની અટકાયત કરી ઘાટલોડિયા પોલીસને સમગ્ર મામલો સોંપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter