નેપાળથી ગુજરાતના ૫૨૫ પ્રવાસીઓ ઘરે સલામત પહોંચ્યા

Tuesday 28th April 2015 15:56 EDT
 

અમદાવાદઃ નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપના સમાચાર મળતાની સાથે રાજ્ય સરકારે નેપાળ ફરવા ગયેલા ગુજરાતી પરિવારોનો તાત્કાલિક સંપર્ક કરીને તેમને પરત લાવવાની કવાયત હાથ ધરી હતી. આ વ્યવસ્થાના કારણે સોમવાર સાંજ સુધીમાં ૫૨૫ જેટલા પ્રવાસીઓ સલામત રીતે પોતાના ઘરે પરત ફર્યા છે. આ છતાં હજુ પણ ૨૦૦ જેટલા ગુજરાતીઓ નેપાળમાં અટવાયા હોવાની આશંકા છે. સરકારે આ માટે ગાંધીનગરમાં ખાસ કંટ્રોલરૂમ શરૂ કર્યો હતો. રાહત કમિશનર ડી. એન. પાંડેએ કહ્યું કે, ગુજરાતમાંથી ગયેલા તમામ પ્રવાસીઓ સલામત છે. જે લોકો હજુ નેપાળમાં અટવાયેલા છે તેમનો સંપર્ક કરી પરત લાવવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. નેપાળમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓના સંપર્ક માટે મુખ્ય પ્રધાનની સૂચનાના પગલે બે નાયબ કલેક્ટરને નવી દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશનરના હવાલે મૂકાયા છે.

મોરારિબાપુએ રૂ. ૫૧ લાખ આપ્યા

જાણીતા કથાકાર પૂ. મોરારિબાપુએ વડાપ્રધાન રાહત કોષમાં રૂ. ૫૧ લાખ આપવાની જાહેરાત કરી છે અને નેપાળ-ભારતમાં આવેલા ભૂકંપનાં મૃતકો અને અસરગ્રસ્તોને દિલસોજી પણ પાઠવી છે. પૂ. બાપુએ આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત પણ કરી હતી.

એવરેસ્ટ સર કરવા ગયેલા બે ગુજરાતી ફસાયા

વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવા ગયેલાં પૂણેના ગ્રૂપના ૨૪ યુવાનોમાંથી બે યુવાનો ગુજરાતના છે, જેમનો સંપર્ક થઈ શક્યો નહતો. ૨૮ એપ્રિલે આ ગ્રૂપ એવરેસ્ટ સર કરીને બેઈઝ કેમ્પ પર આવવાના હતા પરંતુ તેઓ સલામત હોવાનું એવરેસ્ટ ટ્રેકિંગ સંસ્થાના સંચાલકે તેમના સબંધીઓને જણાવ્યું હતું. અમદાવાદના ૨૫ વર્ષીય હર્ષિત પ્રજાપતિ એવરેસ્ટ ચઢાણ માટે ગયા છે. તેમના ટૂર ઓપરેટર પૂણેના છે અને તેમની સાથે વાત થઈ છે તે મુજબ બધા સલામત છે અને એક હોટેલમાં રોકાયા છે. એવરેસ્ટ ટ્રેકિંગ માટે રૂ.૧.૫૦ લાખ ફી ભરીને તેઓ ગયા હતા. બીજો ગજ્જર નામનો યુવાન જામનગરનો છે. આ બંને મિત્રો હતા. આ ઉપરાંત ગુજરાતમાં એએસપી સરોજીની કુમારી પણ એવરેસ્ટ સર કરવા ગયા હતા. તેઓ પણ સલામત હોવોનો અહેવાલ બેઝ કેમ્પને મળ્યા છે.

એક અહેવાલ પ્રમાણે નેપાળની સરહદે એવરેસ્ટ પર ૮૦૦ જેટલાં લોકો ટ્રેકિંગ માટે ગયા હતા જેમાંથી ૨૧૭ લોકો ગુમ છે. આમાંથી ૧૭ના મૃત્યુ થયા છે ને ૬૦ને ઈજા થઈ છે.

ગુજરાતમાં અસર

ગાંધીનગરની ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર જનરલ ડો.બાલકૃષ્ણ રસ્તોગીના જણાવ્યા મુજબ રિક્ટર સ્કેલ ઉપર એપી સેન્ટરમાં ૭.૯ મેગ્નિટયુડના નેપાળના આ ભૂકંપની અસર માત્ર ૧૫ સેકન્ડમાં જ અમદાવાદમાં વર્તાઈ હતી. નેપાળના ભૂકંપ પહેલા કચ્છમાં ભચાઉથી ૧૭ કિલોમીટર ઉત્તર-પૂર્વ તરફ ૨૫ એપ્રિલે સવારે ૩.૨૧ કલાકે જમીનમાં ૨૮ કિલોમીટર નીચે રિક્ટર સ્કેલ ઉપર ૩ મેગ્નિટયૂડનો ભૂકંપ નોંધાયો છે. નેપાળના ભૂંકપ સાથે કચ્છમાં આવી રહેલા ભૂકંપને કોઈ જ લેવા દેવા નથી. ગુજરાત ગત ૧૪ વર્ષમાં ૧૮ હજાર વખત ધણધણી ઊઠયું છે. હિમાલય ઝોનમાં નેપાળની પ્લેટ સાથે કચ્છ કે ગુજરાતને કોઈ સંબંધ નથી. કોઈ પણ સ્થળે ભૂકંપ આવ્યાના વર્ષો સુધી હળવા આફ્ટરશોક આવતા રહેતા હોય છે. ગુજરાતમાં સામાન્ય નાગરિકને અનુભવાય તેવા ૩ મેગ્નિટયુડથી વધારે તીવ્રતા ધરાવતા ૧૧૦૮ ભૂંકપના ઝટકા વિતેલા ૯ વર્ષમાં નોંધાયા છે.

કૈલાસ યાત્રા રદ્દ થશે

નેપાળના ભૂકંપને પગલે આ વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા સ્થગિત થાય તેવી સંભાવના છે. ભૂકંપને લીધે માર્ગો તૂટી જતાં બસોની અવરજવર શક્ય નથી પરિણામે ચીન સરકારે છેલ્લી ઘડીએ યાત્રાળુઓને મંજૂરી આપવાનું ટાળ્યું છે. આથી માનસરોવરની યાત્રાએ જવા ઇચ્છુક લોકોની મનોકામના પૂર્ણ થશે નહીં. દર વર્ષે ભારતભરમાંથી પાંચેક હજાર લોકો કૈલાશની યાત્રાએ જાય છે. અમદાવાદ સહિત ગુજરાતમાંથી કૈલાશ માનસરોવરની યાત્રાએ જનારાં યાત્રાળુઓની સંખ્યા વધુ હોય છે. ૨૯ એપ્રિલથી યાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાતમાંથી ઘણાં ગ્રૂપ ૫મી જૂન અને ૮મી જૂને પણ જઇ રહ્યાં છે. નેપાળમાં આવેલાં ભયાનક ભૂકંપે એવી તારાજી સર્જી છેકે, માર્ગો તૂટી જતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. નેપાળમાં થઇને આ યાત્રાએ જવાનું હોય છે ત્યારે હવે ત્યાં થઇને જઇ શકાય તેમ નથી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter