પક્ષપલટાથી અસંતોષઃ ભાજપ વિમાસણમાં

Wednesday 11th March 2020 06:31 EDT
 

અમદાવાદઃ ગુજરાત રાજ્યસભામાં ભાજપના સભ્યો ચુનીભાઈ ગોહેલ, શંભુપ્રસાદ ટૂંડિયા, લાલસિંહ વાડોદિયા અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીની ટર્મ પૂરી થવાની હોવાથી આ ચાર બેઠકો માટે ૨૬ માર્ચે ચૂંટણી યોજવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે, જેમાં આ વખતે ભાજપને ૧ બેઠક ગુમાવવી પડે તેમ છે. આ સ્થિતિ વચ્ચે ભાજપ વિમાસણમાં છે કે બે ઉમેદવારો ઉભા રાખવા કે પછી ત્રણ.
બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્યોને રાજકીય હોદ્દા આપી કેસરિયા થાય તો ભાજપમાં અસંતોષ ભડકી શકે જેથી ભાજપ આગામી બેઠકમાં નવી રણનીતિ ઘડી શકે તેમ કહેવાય છે. હાલમાં તો ગોરધન ઝડફિયા, આઇ. કે. જાડેજા, બાબુ જેબલિયા, કિરીટસિંહ રાણાના નામ ચૂંટણીમેદાનમાં ઉતારવા ચર્ચામાં છે. જોકે ભાજપ એકેય ઉમેદવારને રિપીટ નહી કરે. તે જોતાં શંભુપ્રસાદ ટુંડિયાને પુનઃ તક નહીં મળે તો પૂર્વ પ્રધાન રમણલાલ વોરા અને પૂર્વ પ્રધાન આત્મારામ પરમારને તક મળી શકે છે. ભાજપ આ ચૂંટણીમાં પાટીદાર, ઓબીસી, આદિવાસી નેતા ઉપરાંત નવા ચહેરા મળીને કુલ ૩ને તક આપી શકે છે. રાજનીતિજ્ઞોના કહેવા પ્રમાણે, કોંગ્રેસમાંથી કેસરિયો કરનારા ધારાસભ્યોને ભાજપમાં ઊંચા હોદ્દા અને નાણાં સાથે આવકાર મળે છે જેથી ભાજપમાં ભારે અસંતોષ ભડક્યો છે. આ જોતાં ભાજપ આ વખતે પક્ષપલટો કરાવવાના બદલે કોંગી ધારાસભ્યોને ગેરહાજર રાખાવા અથવા મતદાન મથકે મોડે આવવાની રણનીતિ ઘડી રહ્યુ હોવાની ચર્ચા છે. આ કારણે ધારાસભ્ય સામે પક્ષ પણ પગલાં ભરી શકે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter