અમદાવાદઃ અનામત બચાવો આંદોલન અંતર્ગત ઓબીસી, એસસી, એસટી જાતિ સમૂહોએ ભેગા મળીને બનાવેલા ઓબીસી એકતા મંચ દ્વારા રાજ્યના ૧૫ જિલ્લાઓમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને જાહેર ચેતવણી આપતા બેનરો-પોસ્ટરો ઠેરઠેર લગાવાયા છે. જેમાં લખ્યું છે કે, ‘જો અનામત હિત કી બાત કરેગા, વોહી ગુજરાત મેં રાજ કરેગા’, જે કોઈ પાર્ટીના આગેવાન અનામત વિરોધી હોય તેમણે આ વિસ્તારમાં પ્રવેશવું નહીં.’ આ બનેરો વિશે સમિતિના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે ‘જે રીતે પાટીદારો આંદોલન ચલાવી રહ્યા છે અને સરકાર પણ પાટીદારોની પ્રત્યે નરમ વલણ ધરાવે છે તે જોતા અમારે તમામ પાર્ટીઓના જનપ્રતિનિધિઓ અને નેતાઓને ખુલ્લી ચેતવણી આપવી પડી છે.’ અલ્પેશ ઠાકોરે ધારાસભ્યો, કોર્પોરેટરો, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો-સભ્યો તેમ જ નગરપાલિકાના કાઉન્સિલરોને ચીમકી આપતા જણાવ્યું છે કે, ઓબીસી, એસસી, એસટી સમાજના મત વગર ગુજરાતમાં કોઈ પણ પક્ષ કે નેતાને ચૂંટણી જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન થઈ રહેશે.

