રાજકોટઃ સૌરાષ્ટ્રના થાન નામના એક નાનકડા ગામડામાંથી આવતા અને હાલ પણ સુરેન્દ્રનગર નામના બહુ મોટા નહિ એવા ગામમાં રહેતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ આજે દેશદુનિયામાં ડંકો વગાડ્યો છે. જગદીશભાઈના અદભુત કાર્યથી ખુશ થઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રસિદ્ધ રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’માં ખુબ જ વિસ્તારથી જગદીશભાઈની વાત નાગરિકો સુધી પહોંચાડી હતી.
જાણીતા લેખક નિશ્ચલ સંઘવી દ્વારા જગદીશભાઈના જીવન ઉપર એક અંગ્રેજી પુસ્તક ‘એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરી ઓફ એન ઓર્ડિનરી મેન’ લખાયું છે. આ પુસ્તકનું વિમોચન મહાનુભાવોની હાજરીમાં અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાયું હતું.
જગદીશભાઈએ પોતાની 50 મી વર્ષગાંઠે સંકલ્પ લીધેલો કે હવે પછીની પોતાની તમામ આવક ડોનેટ કરી દેશે. તેમજ જો કોઈ કારણસર તે દાન ન કરી શકે તો તેમના કુટુંબીઓને જાહેર સૂચના આપી હતી કે પોતાની પ્રોપર્ટી વેચીને પણ મિનિમમ રૂ. 11 કરોડ (1 મિલિયન પાઉન્ડ)નું દાન કરે. આ સંકલ્પના આઠ વર્ષ પછી આજે જગદીશભાઈએ પોતાનો સંકલ્પ પૂર્ણ કરીને રૂ 13.5 કરોડ (1.2 મિલિયન પાઉન્ડ)નું દાન કરી ચૂક્યા છે. આ ઉપરાંત દર વર્ષે જગદીશભાઈ એક પુસ્તક પ્રદર્શિત કરે છે. આ પુસ્તકમાં જગદીશભાઈની પાઇ-પાઇ આવક અને તે પૈસા ક્યાં ડોનેટ કર્યા તેની બેલેન્સ શીટ જાહેર જનતા માટે પ્રદર્શિત કરાય છે.
જગદીશભાઈએ પોતે 82 પુસ્તક ગુજરાતી ભાષામાં લખેલ છે. જગદીશભાઈનો વિદેશમાં ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા વગેરે 20થી વધુ દેશોમાં બહોળો ચાહક વર્ગ છે અને ફક્ત અમેરિકામાં જ તેમણે 1000 થી વધુ શો કર્યા છે. જગદીશભાઈના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવેલા છે. લેખક નિશ્ચલભાઈ સંઘવીને લાગ્યું કે જગદીશભાઈની જીવન વાર્તા જો અંગ્રેજી માં પ્રસ્તુત કરવામાં આવે તો વિદેશના વાચકોને પણ વાંચવાનો લાભ મળે. ખરેખર તો પોતાની જુવાનીમાં થાનમાં એક સામાન્ય ઝેરોક્સની દુકાન ચલાવતા જગદીશભાઈનું જીવન ખુબ જ બોધપાઠરૂપ છે.
અમદાવાદના પુસ્તક વિમોચનમાં જાણીતા સાહિત્યકાર ડો. કુમારપાળ દેસાઈ, શાહબુદ્દીન રાઠોડ, રતિલાલ બોરીસાગર, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, તુષાર શુક્લ, આરજે દેવકી, નવગુજરાત સમયના સ્થાપક તંત્રી અજય ઉમટ વગેરેએ હાજરી આપી હતી. રાજકોટના વિમોચન કાર્યક્રમમાં ડો. શરદ ઠાકર, સુભાષ ભટ્ટ, આરજે દેવકી, સાઈરામ દાવ, જય વસાવડા, વિક્રમ સંઘાણી અને ઈલેશ ખખ્ખર હાજર રહ્યા હતા. જગદીશભાઈ ત્રિવેદીના જીવન ચરિત્ર ઉપરનું આ અંગ્રેજી પુસ્તક એમેઝોન કિન્ડલમાં પણ ઉપલબ્ધ છે.