પરિમલ નથવાણી હવે આંધ્ર પ્રદેશમાંથી સાંસદ બનશે

Tuesday 10th March 2020 06:29 EDT
 

અમદાવાદઃ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાય. એસ. જગનમોહન રેડ્ડીએ રાજ્યના કવોટાની આંધ્ર પ્રદેશની બેઠક પરથી પરિમલ નથવાણીને જીતની ઓફર કરી છે. જો આમ થાય તો નથવાણી ત્રીજી વખત રાજયસભાના સાંસદ બનશે. પરિમલ નથવાણીનો સાંસદ તરીકેનો કાર્યકાળ ૯મી એપ્રિલે પૂર્ણ થાય છે.
જગનમોહન રેડ્ડી સાથે મુલાકાત
હાલમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અને પરિમલ નથવાણી અમરાવતીમાં જગનમોહન રેડ્ડીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને બંધ બારણે બેઠક ચાલી હતી અને તેમાં જગનમોહન રેડ્ડીએ આ ઓફર કરી હોવાનું મનાય છે.
પરિમલ નથવાણી બે વખત ઝારખંડમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે રાજયસભામાં ચૂંટાયા હતા પરિમલ નથવાણી વર્ષ ૨૦૦૮ અને વર્ષ ૨૦૧૪માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઝારખંડથી ચૂંટાઈ આવ્યા હતા. પરિમલ નથવાણીની બીજી ખાસ વાત એ છે કે તેઓ રાજ્યસભામાં સક્રિય સાંસદ છે. આ વર્ષે બજેટ સેશન દરમિયાન ૩૧મી જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધીનાં સમયગાળામાં પરિમલ નથવાણીએ ૧૬ જેટલાં સવાલો પણ કર્યાં હતાં.
પરિમલ નથવાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનાં સર્વેસર્વા મુકેશ અંબાણીની કોર ટીમમાં પણ સામેલ છે. સ્વ. ધીરુભાઈ અંબાણીના વિશ્વાસુ ગણાતા પરિમલ નથવાણીને વર્ષ ૨૦૧૬માં કોર્પોરેટ અફેર્સનાં ગ્રુપ પ્રેસિડેન્ટ પણ બનાવવામાં આવ્યા હતા.
દ્વારકા - નાથદ્વારા મંદિર બોર્ડમાં સભ્ય
જામનગરમાં રિફાઈનરી બનાવી ધીરુભાઈ અંબાણીનું સ્વપ્ન પૂરું કરવાનો ફાળો પરિમલ નથવાણીને જ જાય છે. આ સાથે જ નથવાણી દ્વારકા અને નાથદ્વારા જેવા મંદિરોના બોર્ડમાં સભ્યપદ પણ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter