ગાંધીનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકી ખાતે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૫ એપ્રિલે ત્રણ નવા પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરી પાણી પુરવઠા વિભાગ હસ્તક અને નર્મદા કેનાલ આધારિત સ્વર્ણિમ ગુજરાત બલ્ક પાઇપલાઇન યોજના ખુલ્લી મુકી હતી. આ યોજનાનું લક્ષ્ય સૌરાષ્ટ્ર-કચ્છના ૫૫૭૮ ગામો અને ૧૧૬ શહેરોની પાણીની સમસ્યા દૂર કરવાનું તો રહેશે જ પણ સાથોસાથ જ આ પાઇપલાઇનના કુલ ૩૬૧ કિલોમીટરનું નેટવર્ક જે રીતે કાર્યરત રહેશે તે વિશ્વમાં એક અનોખી પહેલરૂપ બની રહેશે.
અંદાજે રૂ. ૨૫૦૦ કરોડના ખર્ચે ઢાંકીથી ખીરાઈ (માળિયા), હડાળા (રાજકોટ) અને નાવડા (બરવાળા) એમ ત્રણ પાઈપલાઈન દ્વારા રોજ ૧૬૫ કરોડ લીટર પાણીના જથ્થાનું વહન થશે. જે માટે કુલ પાંચ પમ્પિંગ સ્ટેશન ૧૫ ફૂટ પાણી ઊંચકીને આગળ મોકલશે. જેના કારણે ઠેઠ નીચેની સપાટીથી કુલ ૭૫ મીટર ઊંચાઈએ પાણી ઊંચકીને તેનું પાઇપલાઇન દ્વારા આટલા મોટા લોકસમૂહ માટે વહન કરવામાં આવ્યું હોય તેવી વિશ્વમાં પ્રથમ યોજના હોવાનું પાણી પુરવઠા બોર્ડના મેમ્બર સેક્રેટરી અને અધિક સચિવ, આયોજન મહેશ સિંઘે જણાવ્યું હતું.