પોરબંદરઃ પાકિસ્તાન મરિને વધુ એક વખત મધદરિયે ભયનો માહોલ સર્જી સૌરાષ્ટ્રની ત્રણ બોટ અને ૧૭ માછીમારોનાં અપહરણ કર્યાંના અહેવાલ ૧૩મી ફેબ્રુઆરીએ હતા. અપહરણ કરાયેલી બોટમાં બે પોરબંદરની બોટો ગણેશ તથા રિદ્ધિસિદ્ધિ અને એક વેરાવળની હોવાનું જાણવા મળે છે. આ અંગે પોરબંદરના માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની કેટલીક બોટો ભારતીય જળસીમા નજીક ગ્રૂપમાં ફિશિંગ કરી રહી હતી. તે સમયે પાકિસ્તાન મરિન સિકયુરિટીની શિપ ત્યાં આવી ચડી હતી અને બંદુકના નાળચે ત્રણ ફિશિંગ બોટ અને તેમાં સવાર ૧૭ ખલાસીઓનાં અપહરણ કર્યાં હતાં. આ તમામને કરાચી લઇ જવાયાના સમાચાર હતા. જોકે બોટનાં ખલાસીઓનાં નામ જાણી શકાયા નથી.

