પાટીદાર સંગઠનના કન્વીનર હાર્દિક પટેલે જેલમાંથી તાજેતરમાં તેના પિતા ભરત પટેલને સંબોધીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં પરિવારના હાલચાલ પૂછવા સાથે આંદોલન બંધ કરવા માટે એક આઇએએસ અધિકારીએ રૂ. ૧૨૦૦ કરોડની ઓફર તેને કરી હોવાની સ્ફોટક વાત પણ લખી હતી. ૧૨મી ફેબ્રુઆરીએ હાર્દિકના કાકા અને પાસના કાર્યકર્તા નિખિલ સવાણી લાજપોરની જેલમાં હાર્દિકને મળવા ગયા ત્યારે આ પત્ર હાર્દિકે તેમને આપ્યો હતો. જોકે આંદોલન સાથે સંકળાયેલા વર્તુળો હાર્દિકના આ પત્રની અધિકૃતતા વિશે સવાલો ઉઠાવી રહ્યા છે.
આ પત્રમાં હાર્દિક પટેલે જણાવ્યું છે કે, છેલ્લા ૩-૪ દિવસથી સરકારી અધિકારીઓ તેને મળવા આવે છે. જેમાંના એક આઇએએસ અધિકારીએ જ પાટીદારો પર લાઠીચાર્જ અને ગોળીબારનો આદેશ દિલ્હીના ઇશારે આપ્યો હતો. આ વ્યક્તિએ મને આંદોલન બંધ કરવા રૂ. ૧૨૦૦ કરોડની તથા રાષ્ટ્રીય ભાજપ યુવા મોરચામાં ઉચ્ચ હોદ્દો આપવાની ઓફર કરી છે. તેણે એમ પણ કહ્યું હતું કે, આંદોલન બંધ નહીં થાય તો રાજ્યમાં કોઇપણ વ્યક્તિ તને જેલમાંથી નહીં છોડાવે. મેં આ અધિકારીઓ અને અન્યોને ભગાડી મૂક્યા હતા. હું જેલમાંથી નહીં છૂટું તો વાંધો નથી, પણ સમાજની સાથે ગદ્દારી ન કરી શકાય.
આ આઇએએસ કોણ છે? તેના નામનો ઉલ્લેખ હાર્દિકે પત્રમાં કર્યો નથી.
સીએમએસ 13-2-2016


