અમદાવાદ: શહેરના સીમાડે જાસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સાકાર થઇ રહેલા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતા મંદિરના શિલાન્યાસ પ્રસંગે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસમાં રૂ. ૧૨૫ કરોડનું ભંડોળ એકત્ર કરવાનું આયોજકોનું લક્ષ્ય હતું. જોકે સમારોહના બીજા દિવસે આ ટાર્ગેટમાં રૂ. ૪૦ કરોડ ખૂટતા હતા. કાર્યક્રમના મુખ્ય સંયોજક આર. પી. પટેલે આ જાહેરાત કરતાં માત્ર ૧૭ જ મિનિટમાં રૂ. ૩૦ કરોડનું દાન આવ્યું હતું. એક ગુપ્ત દાતાએ રૂ. ૨૫ કરોડ લખાવ્યા હતા. તો નંદાસણના વતની અને હાલ મુંબઈવાસી રૂ. ૫૧ કરોડના એક દાતાએ વધુ ૧૧ કરોડ લખાવ્યા હતા. આમ કુલ ૧૧૦ મિનિટમાં રૂ. ૧૩૬ કરોડનું વિક્રમજનક દાન આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચે બનનારા આ મંદિર સંકુલ માટે અત્યાર સુધીમાં કુલ રૂ. ૫૧૧ કરોડનું ભંડોળ એકત્ર થઇ ચૂક્યું છે.
દાતાની અનોખી શરતઃ ‘તો દાન નહીં આપું...’
જાસપુરમાં આકાર લઇ રહેલા વિશ્વના સૌથી ઉંચા ૪૩૧ ફૂટના ઉમિયા માતા મંદિર માટે છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂ. ૫૧૧ કરોડનું દાન સમાજના બંધુઓએ આપ્યું છે. મંદિરના શિલાન્યાસ માટે યોજાયેલા સમારોહમાં કુલ રૂ. ૧૨૫ કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ હતો, જેમાં ૪૦ કરોડ રૂપિયા ખૂટતા હોવાની જાહેરાત કરતાં જ એક દાતાએ રૂ. ૨૫ કરોડનું દાન લખાવ્યું હતું.
જોકે આ દાન આપતા પહેલા દાતાએ સંસ્થાના ચેરમેન આર. પી. પટેલ સમક્ષ શરત મૂકી હતી કે, ‘હું ૨૫ કરોડનું દાન આપું પણ મારું નામ કયાંય જાહેર થવું જોઈએ નહીં. જો નામ જાહેર કરવાના હોવ તો દાન નહીં આપું.’ ચેરમેને તેમની શરત સ્વીકારતા છેલ્લી ઘડીએ તેમણે રૂ. ૨૫ કરોડનું દાન જાહેર કર્યું હતું. નોંધનીય છે કે શનિવારે વિશ્વ ઉમિયા ધામમાં ૩૦ બગીની યાત્રા નીકળી હતી અને દરેક બગીમાં પાંચ-પાંચ કરોડ રૂપિયાના દાતાને બેસાડાયા હતા.
શિલાન્યાસ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી ઊંચા મંદિરનું ગુજરાતમાં નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતના યાત્રાધામોમાં ઉમેરો થશે અને પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. મંદિર નિર્માણની સાથે સાથે સમાજના વિકાસ માટે પણ સામાજિક પ્રોજેક્ટ હાથ ધરીને નવા ભારતના નિર્માણમાં મોટું યોગદાન આપવાનું કાર્ય વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા થઇ રહ્યું છે તે ગુજરાત અને દેશ માટે ગૌરવપ્રદ છે.
ઇન્ડો-જર્મન ટેક્નોલોજીથી નિર્માણ
શિલાન્યાસ પ્રસંગે જર્મન આર્કિટેક્ટ પણ જાસપુર આવ્યા હતા. ઇન્ડો-જર્મન ટેક્નોલોજીથી મંદિરનું નિર્માણ થવાનું હોવાથી જર્મન અને ભારતીય આર્કિટેક્ટ્સે સાથે મળીને મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરી છે. મંદિર નિર્માણમાં પાંચ વર્ષનો સમય લાગી શકે છે. એસ. જી. હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ નજીકના જાસપુરમાં ૧૦૦ વીઘા સાકાર થનારા વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહમાં ૧૫૦ ભૂદેવ અને ૨૫૦થી વધુ ઋષિકુમારોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજનવિધી યોજાઇ હતી.
આ પહેલાં મંદિરના ગર્ભગૃહથી ૧૦ ફૂટ ઊંડે સોનું, ચાંદી, તાંબુ, ઝવેરાત, મોતી એમ પંચધાતુનું કુલ ૧૪ કિલોનું મિશ્રણ શુદ્ધિકરણ માટે નાંખવામાં આવ્યું હતું.
૯ મુખ્ય શિલા પર ગર્ભગૃહ
મા ઉમિયા મંદિરનું ગર્ભગૃહ મુખ્ય ૯ શિલા પર તૈયાર કરાશે. આ નવ વિશેષ શિલા - કૂર્મ શીલા, નંદ શિલા, ભદ્રા શિલા, જયા શીલા, પૂર્ણા શિલા, અજિતા શિલા, અપરાજિત શિલા, શુકલા શિલા, સૌભાગિની શિલાની પૂજન વિધિ કરાઇ હતી. આ સાથે કુલ ૫૦૦ દંપતીએ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ૫૦૦ શિલાઓ અને ૧૦૮ કળશનું પૂજન કર્યું હતું. મંદિરમાં જમીનથી બાવન ફૂટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થપાશે. જ્યારે ૨૭૦ ફૂટ ઊંચે વ્યુઇંગ ગેલેરી બનશે.
ભીડ નિયંત્રણ માટે ક્યુઈંગ સિસ્ટમ
ઉમિયા ધામના ભારતીય આર્કિટેક્ટ ભાવિક દંડનાયક અને જર્મન આર્કિટેક્ટ ગેહાર્ડ અને ડેવરે જણાવ્યું હતું કે, આ મંદિરની ડિઝાઇન પારંપરિક મંદિરો કરતાં અલગ છે. મંદિરની ડિઝાઇન તૈયાર કરતાં પહેલાં જર્મની અને દુબઈથી આવેલી આર્કિટેક્ટની ટીમે તિરુપતિ બાલાજી, અંબાજી, અક્ષરધામ અને શિરડીની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ આ ડિઝાઇન તૈયાર કરાઈ છે. આ તમામ મંદિરોમાં લોકોની ભીડ થાય છે ત્યારે અફડાતફડી જોવા મળે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મંદિરની ડિઝાઇન તૈયાર કરાઈ છે. મંદિરના ગર્ભગૃહ પાસે ઓટોમેટિક ક્યુઇંગ સિસ્ટમ મુકાશે, જેથી મંદિરમાં ભીડ નહિ થાય.
મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહ પ્રસંગે મુખ્ય પ્રધાન ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ઉર્જા પ્રધાન સૌરભ પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, બાબુ જમના પટેલ, આર્ટ ઓફ લીવિંગ ફાઉન્ડેશનના શ્રીશ્રી રવિશંકર, બીએપીએસના સાધુ બ્રહ્મવિહારીદાસજી, વિશ્વ ગુજરાત સમાજના પ્રમુખ સી. કે. પટેલ, આર. પી. પટેલ, સહિત ઉમિયા ધામ ફાઉન્ડેશનના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ વગેરે સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.