પાવાપુરી કેસઃ ‘ક્રાઇમ બ્રાન્ચના દિવાન સર સાથે વાત થઇ ગઇ છે’ની ઓડિયો વાઈરલ

Tuesday 07th July 2020 15:50 EDT
 

હિંમતનગરઃ ઈડર-અંબાજી હાઈવે પર આવેલા રાણી તળાવમાં જૈન દેરાસર અને પાવાપુરી સંમેત શિખર તીર્થધામ સંસ્થા (જલ મંદિર)ના પ્રમુખ મહારાજ સાહેબ કલ્યાણસાગર અને મહારાજ સાહેબ રાજતિલકસાગર સામે આશરે સાત જેટલી મહિલાઓએ અશ્લિલ વર્તન અને છેડતીની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ કેસમાં મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ સાધુઓ સામે આક્ષેપ કર્યાં છે. આ કેસમાં સંખ્યાબંધ પાત્રો સામેલ હોવાનું જણાઇ રહ્યું છે. ઉપરોક્ત આક્ષેપ પછી ડી. કે. મહારાજની વાતચીતની ઓડિયો ક્લિપ બહાર આવી છે. ક્લિપમાં તેઓ એવું કહેતા સંભળાય છે કે એની તો એવી દવા કરીશ, બાપાના બાપા યાદ કરી જશે. ક્રાઇમ બ્રાન્ચના દિવાનસર સાથે મારે વાત થઇ ગઇ છે! કથિત ઓડિયોમાં ઘણી બધી સ્ફોટક બાબતોની ચર્ચા સંભળાય છે.
ડી. કે. મહારાજ અને વીડિયોમાં દેખાતી મહિલાના પતિના મિત્ર ભાવિક વચ્ચે થયેલી વાતચીતના કથિત ઓડિયોમાં પોતાને ડી. કે. મહારાજ તરીકે ઓળખાવતો માણસ એવું કહેતો સંભળાય છે કે મેં ક્રાઇમ બ્રાન્ચમાં નક્કી કરી રાખ્યું છે સામે પક્ષેથી કંઇક થાય તેની રાહ જોઇ રહ્યો છું. પોતાની પત્નીને આવી રીતે કોણ મોકલે અને વીડિયો ઉતારે આ બ્લેક મેલિંગનો કેસ છે.
સ્વામીનારાયણના સાધુને પણ આવું કર્યું હતું પકડીને કેવા ઠોક્યા છે તે તું જોઇ લેજે. એની તો એવી દવા કરીશ કે બાપાના બાપા યાદ કરી જશે. એના છોકરાં રખડી પડશે. ગુરુ મહારાજ તો વાસ્તવમાં ભોળા છે. આપડા જેવો કોઇ આવું લખાણ આપે? જા, જા ચાલતી પકડ એમ કહે! દિવાનસર એને તો થપ્પડ મારી મારીને બોલાવશે તું સુરતથી ઇડર કેમ આવ્યો? તારી વાઇફ જૈન નથી તો જૈન મહારાજ પાસે લઇને કેમ ગયો અને વીડિયો કેમેરા કે અન્ય જે કંઇ પણ લઇને રેકોર્ડિંગ કર્યું તે બ્લેક મેલિંગના કાવતરાને સમર્થન આપે છે. તેઓ દાવો કરે છે કે દિવાન સર નામના માણસે તેમને કહ્યું છે કે, ગોરો હશે કે કાળો અહીંથી લાલ થઇને જશે ૬ મહિના સુધી નાંખી રાખીશ. વાતચીતમાં તેમણે સામાજિક સૌહાર્દ ડહોળવાની પણ એક ટિપ્પણી કરી છે. જેમ જેમ વિગતો બહાર આવી રહી છે તેમ તેમ પાપલીલાના પ્રકરણમાં પાત્રોની સંખ્યા વધતી જાય છે.

મૂળઃ ઈડર પાવાપુરી જલમંદિરના બે જૈન મહારાજ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદો

ઈડર-અંબાજી હાઈવે પર જૈન દેરાસર અને પાવાપુરી સંમેત શિખર તીર્થધામ સંસ્થા (જલ મંદિર)ના પ્રમુખ મહારાજ સાહેબ કલ્યાણસાગર અને મહારાજ સાહેબ રાજતિલકસાગર અંગે મહિલા ભાવિકે ફરિયાદ કર્યા પછી પાવાપુરીમાં ટ્રસ્ટી ડો. આશિત દોશી તેમજ ડો. નિકુંજભાઈ આર. વોરાએ બંને સાધુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું કે, બંને જૈન સિંદ્ધાતોનું ઉલ્લઘંન કરીને સાધુના બદલે સાંસારિક જીવન જીવતા તેમજ મહિલા અનુયાયીઓને રંજાડી રહ્યાં છે જેથી ધાર્મિક સંસ્થા અને જૈન ધર્મને લાંછન લાગી રહ્યું છે. સૌ પ્રથમ ફરિયાદ કરનારી સુરતની પરણિતાએ તો પછીથી ફરિયાદ ખેંચી લીધી, પરંતુ એક ૭૫ વર્ષીય વૃદ્ધા સહિત સાતેક મહિલાઓએ બંને અંગે ફરિયાદ કરી કે, બંને મોકો જોઈને મહિલાઓની છેડતી અથવા શોષણ કરતા આવ્યા છે અને બંને વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter