અમદાવાદઃ રાજ્ય સરકારના ૪.૨૬ લાખ જેટલા પેન્શનરોને વર્ષમાં એક વાર કરાવવાની થતી હયાતીની ખરાઇ હવે ઓનલાઇન પણ થઇ શકે તેવી વ્યવસ્થા રાજ્યના નાણા વિભાગ દ્વારા થઈ છે. ભારત સરકારની જીવન પ્રમાણ પોર્ટલ પરથી પેન્શનર કે કુટુંબ પેન્શનર દ્વારા આધાર બેઝ્ડ બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન હેઠળ હયાતીની ખરાઇ કરવાની પદ્ધતિને માન્યતા મળી છે. પેન્શનરે ખરાઇના સમયે રજૂ કરવાના થતા લગ્ન, પુનઃ લગ્ન, પુનઃ નિયુક્તિ સહિતના પ્રમાણપત્રો જીવન પ્રમાણ પોર્ટર પર ઓનલાઇન આપવાના રહેશે. જેથી તેઓને કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં. સિસ્ટમ આધાર કાર્ડ સાથે લિન્ક હોવાથી તેની ખરાઇ પણ થઈ જશે.
નિવૃત્ત થયા બાદ અનેક પેન્શનરો વિદેશમાં પોતાના પરિવારજનો સાથે વસવાટ કરી રહ્યા છે. પરંતુ હયાતીની ખરાઇને કારણે તેમણે વર્ષમાં એકવાર ભારત આવવું પડતું હતું. હવે તેઓ વિદેશથી પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરીને હયાતીની ખરાઇ કરાવી શકશે.


