વલસાડઃ પ્રખર ગાંધીવાદી નારાયણભાઇ દેસાઇનું નિધન થયું છે. સર્વોદય કલ્યાણની વિચારધારા સાથે સંકળાયેલા નારાયણભાઈ (૯૦)એ જૈફ વયે ૧૫ માર્ચના રોજ વાલોડ તાલુકાના વેડછી ખાતેના સંપૂર્ણક્રાંતિ વિદ્યાલયસ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં રાજકીય સન્માન સાથે નારાયણભાઇને ત્રિરંગો ઓઢાડવામાં આવ્યો હતો. સદ્ગતની સ્મશાનયાત્રામાં હજારો લોકો જોડાયાં હતાં.
નારાયણભાઈએ ૨૫ વર્ષ સુધી મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, સરદાર વલ્લભભાઈ પટેલ, ઠક્કરબાપા, જુગતરામ દવે સહિત ગુજરાત અને દેશના અનેક ગાંધીવાદી સપૂતો સાથે કામ કર્યું હતું. તેમણે દેશવિદેશમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ગાંધીકથા પણ કરી હતી. ગત ૧૦ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ નારાયણભાઈ વેડછી ખાતેના નિવાસસ્થાને પથારીમાં જ કોમામાં સરી ગયા હતા. સારવાર દરમિયાન તેમની તબિયત સુધાર પર આવ્યા બાદ તેઓ પોતાના વેડછી ખાતેના નિવાસસ્થાને જ રહેતા હતા. નારાયણભાઇના નિધન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ, કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અહેમદ પટેલ તથા સમાજના વિવિધ વર્ગના અગ્રણીઓ અને રાજકીય આગેવાનોએ ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. નરેન્દ્ર મોદીએ અંજલિ પાઠવતા કહ્યું હતું કે નારાયણ દેસાઈનું યોગદાન સદા યાદ રહેશે.