અમદાવાદઃ આ વર્ષે ૨૬મી જાન્યુઆરીએ ૭૧મા પ્રજાસત્તાક દિનની ઊજવણી કરવામાં આવશે. આ નિમિત્તે નવી દિલ્હીમાં રાજપથ ખાતે યોજાનારી પરેડમાં ગુજરાતની વિવિધ શાળાઓની આશરે ૧૫૦ વિદ્યાર્થિનીઓ પરેડમાં ગરબા રજૂ કરશે. રાજપથમાં ગરબા માટે ગાંધીનગરની જે. એમ. ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલય, સરકારી પ્રાથમિક શાળા અને ગોંડલની કાંતાબહેન બેરા કન્યા વિદ્યાલયની શાળાની વિદ્યાર્થિનીઓની પસંદગી કરવામાં આવી છે. આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ૭૧મા પ્રજાસત્તાક દિવસ માટે શિક્ષણ નિયામક, સંરક્ષણ મંત્રાલય દ્વારા દિલ્હીની ૩ શાળા અને ઉદેપુરના વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટરની પસંદગી કરાઈ છે. કુલ ૪૭૪ વિદ્યાર્થિનીઓ અને ૧૬૨ વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.
અન્ય વિદ્યાર્થિનીઓ વિવિધ સાંસ્કૃતિક નૃત્ય તેમજ યોગાના કરતબ કરશે. રાજપથ ખાતે ગરબા દ્વારા ગુજરાતની સંસ્કૃતિ રજૂ કરનારી કાંતાબહેન બાબુભાઈ બેરા કન્યા વિદ્યાલયની ધોરણ ૮ની વિદ્યાર્થિની સુધા ભરતભાઈએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ મૂળ ગુજરાતી છે તેમની સામે ગરબા કરવા માટે અમે રોમાંચ અનુભવી રહ્યા છીએ.