કોરોનાકાળના બે વર્ષ બાદ નિયંત્રણમુક્ત નવરાત્રિ પર્વ ઉજવી રહેલા શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ છે. સોમવારે પ્રથમ નોરતે પાવાગઢ, અંબાજી અને બહુચરાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. પાવાગઢમાં દર્શન માટે સવારે 4 કલાકે મંદિરના નિજ દ્વાર ખુલ્લા મુકાયા હતા. સવારે 9 વાગ્યા સુધીમાં તો દોઢ લાખ અને મોડી સાંજ સુધી 4 લાખ ભક્તોએ દર્શન કર્યા. જ્યારે મા અંબાજીના મંદિરમાં એક લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. બહુચરાજી મંદિરમાં ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચારણ વચ્ચે ઘટસ્થાપન કરાયું હતું. હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઊમટી પડ્યા હતા.