પ્રમુખસ્વામી મહારાજ આજેય આપણી સાથે છે અને સદાય આપણી સાથે રહેશેઃ પ.પૂ. મહંત સ્વામી મહારાજ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એટલે પૂ. બાપાના આશીર્વાદ, સંતોની સેવા અને સ્વયંસેવકોના સમર્પણનો ત્રિવેણીસંગમ

Tuesday 17th January 2023 12:29 EST
 
 

અમદાવાદઃ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના શાનદાર સમાપન સમારોહના ભાગરૂપે રવિવારે ‘પ્રમુખસ્વામી મહારાજ – કેમ રે ભુલાય!’નું રવિવારે આયોજન કરાયું હતું. સંતો અને યુવકોએ સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાન અને પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ કરાવતાં ભક્તિપદોથી સભાનો આરંભ કરાવ્યો હતો.
15 ડિસેમ્બરથી શરૂ થયેલા અને એક મહિનો ચાલેલા મહોત્સવના સમાપન પ્રસંગે એક લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા, જેમાં સંતોથી માંડીને સ્વયંસેવકો અને હરિભક્તોનો સમાવેશ થતો હતો. મહોત્સવના 31 દિવસમાં 1.21 કરોડ લોકો આ નગરની મુલાકાત લઇ ચૂક્યા છે અને 1.23 કરોડ લોકોએ વ્યસનમુક્તિ - ઘરસભાના સંકલ્પ કર્યા છે.
આપણા સહુના જીવનમાં પ્રમુખસ્વામી મહારાજ જેવા ગુણ દૃઢ થાય
આ પ્રસંગે પ.પૂ. મહંતસ્વામી મહારાજે સૌને આશીર્વચનથી કૃતાર્થ કરતા કહ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે દરેકની સંભાળ લીધી છે અને દરેકને સાચવ્યા છે એટલે દરેકને અનુભૂતિ થાય છે કે પ્રમુખસ્વામી મહારાજ મારા છે. માત્ર આજે નહિ, પરંતુ હજારો વર્ષો પછી પણ પ્રમુખસ્વામી મહારાજને લોકો યાદ કરતા રહેશે. પ્રમુખસ્વામી મહારાજ તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને ક્યારેય નથી ભૂલ્યા તે રીતે આપણે પણ કાયમ પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ રાખવાની છે. પ્રમુખસ્વામી મહારાજની દૃષ્ટિ હંમેશા ગુરુ સામે જ હતી. પ્રમુખસ્વામી મહારાજના રોમે રોમમાં ભગવાન હતા. તેઓ અવિનાશી હતા માટે તેઓ આ પૃથ્વી પરથી ગયા જ નથી અને આજે પણ તેઓ આપણી સાથે છે અને સદાય આપણી સાથે જ રહેશે. સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી તેમજ ગુરુ પરંપરાના આશીર્વાદ અને દયાથી આ શતાબ્દી મહોત્સવ શાનદાર ઉજવાઈ ગયો છે.
મહંતસ્વામી મહારાજે કહ્યું હતું કે આ મહોત્સવની ફળશ્રુતિ એ છે કે આપણા જીવનમાં પણ પ્રમુખસ્વામી મહારાજની જેમ નિયમધર્મ, ભગવાનમાં શ્રદ્ધા - સેવા - સમર્પણ વગેરે જેવા ગુણો દૃઢ થાય. જેણે જેણે આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહકાર આપ્યો છે તેને ભગવાન સુખિયા કરે તેવી પ્રાર્થના. સંતો અને સ્વયંસેવકો કરેલી નિઃસ્વાર્થ સેવા કદીય ના ભુલાય તેવી છે અને સૌએ હિંમત અને બળ રાખીને તેમજ નમ્રતાથી સેવા કરી છે.
સમાપન સમારોહમાં અનેકવિધ ભક્તોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતાં. પ્રમુખસ્વામી મહારાજે કરેલાં વ્યસનમુક્તિ, પત્રલેખન, પધરામણી, શિક્ષણ કાર્યોને દર્શાવતી હૃદયસ્પર્શી વીડિયો ફિલ્મ દર્શાવાઇ હતી. પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત લેનાર લાખો લોકોમાંથી કેટલાંક લોકોના સ્વાનુભાવ વીડિયો દ્વારા દર્શાવાયા હતા.
પ્રેમ - કરુણા થકી લોકોનું જીવન પરિવર્તન
વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ લોકહિત માટે પ્રમુખસ્વામી મહારાજે વેઠેલા શારીરિક અને માનસિક શ્રમની ગાથા વર્ણવી અને કેવી રીતે પ્રમુખસ્વામી મહારાજે સર્વેને શાંતિ, સ્થિરતા અને આધ્યાત્મિક સમજણ આપી સર્વેના જીવન ઉન્નત કર્યા તે વિષયક વક્તવ્ય આપ્યું હતું. વિવેકસાગર સ્વામીએ જણાવ્યું, વિચરણ એ ભારતીય સંતોની પ્રણાલી છે અને પ્રમુખસ્વામી મહારાજે પણ તે જ પરંપરાને ચાલુ રાખી અક્ષર પુરુષોત્તમ ઉપાસના અને સનાતન હિંદુ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજે ગુરુ શાસ્ત્રીજી મહારાજ આગળ કરેલી પ્રતિજ્ઞા દેહની પરવા કર્યા વગર 96 વર્ષ સુધી પાળીને ગુરુહરીનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજે પ્રેમ અને કરુણા દ્વારા અનેકના જીવન પરિવર્તન કર્યા છે. આ પધરામણીઓની ફલશ્રુતિમાં દેશવિદેશમાં 1200 મંદિરોનું નિર્માણ અને 1000થી વધુ સુશિક્ષિત સાધુ-સંતોનો સમાજ પ્રાપ્ત થયો છે. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી દીધી છે.
લાખોની ભક્તમેદનીએ આરતીના નાદ સાથે દીપ પ્રજ્વલિત કરીને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારે જયજયકારોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ કેવી રીતે જીવન ઉત્કર્ષના મહાન ઉત્સવોની પરંપરા શરૂ કરી તે જણાવ્યું હતું. નિઃસ્વાર્થ સેવાભાવનાથી કાર્યરત હજારો સ્વયંસેવકોના નિર્માણ દ્વારા, હજારોમાં વિશિષ્ટ કળાકૌશલ્યને નિખારતા ઉત્સવો દ્વારા પ્રમુખસ્વામી મહારાજે સમાજમાં કરેલી અદ્ભૂત ક્રાંતિની વાત કરી હતી. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત અનોખા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહોત્સવોની પ્રેરણાદાયી સૃષ્ટિની આ પ્રસંગે વીડિયો દ્વારા ઝાંખી કરાવાઇ હતી. ત્યારબાદ સદ્ગુરુ સંત પૂ. ઘનશ્યામચરણ સ્વામીએ પ્રાર્થના રજૂ કરી હતી.
પ્રમુખસ્વામી મહારાજની ભક્તિ નિત્ય અને નિરંતર
સદગુરુ સંત પૂ. ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું, આપણી ભક્તિ દેહભાવવાળી છે પરંતુ પ્રમુખસ્વામી મહારાજની ભક્તિ નિત્ય અને નિરંતરની હતી. પ્રમુખસ્વામી મહારાજે દેહની પરવા કર્યા વગર પ્રથમ પ્રાધાન્ય ભગવાનની ભક્તિને આપ્યું છે.
સંત પૂ. ભક્તિપ્રિય સ્વામીએ જણાવ્યું, ભગવાન સ્વામિનારાયણે આપેલા સિદ્ધાંતો અને સાધુતાના નિયમોનું પાલન કરીને પ્રમુખસ્વામી મહારાજે દેશવિદેશમાં વિચરણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ ભગવાનના અખંડ ધારક સંત હતા. પ્રમુખસ્વામી મહારાજે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન અને નીસનેહ - પાંચેય વર્તમાન સારધાર જીવનના છેલ્લા શ્વાસ સુધી પાળ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજ દરેકને સ્પર્શી ગયા
BAPS સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત પૂ. ડોક્ટર સ્વામીએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ નાનામાં નાના માનવીથી લઈને મોટા વ્યક્તિઓને સ્પર્શી ગયા. અબ્દુલ કલામ સાહેબ આપણા રાષ્ટ્રપતિ હતા તેમજ તેમને વિશ્વની અનેક યુનિવર્સિટીએ પીએચ.ડી.ની ડિગ્રીથી સન્માનિત કર્યા છે, પરંતુ તેઓ પ્રમુખસ્વામી મહારાજની સાધુતા અને વ્યક્તિત્વથી પ્રભાવિત થયા હતા અને વિશ્વમાં પ્રથમ વખત કોઈ મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ ધર્મગુરુ માટે પુસ્તક લખ્યું છે. પ્રમુખસ્વામી મહારાજનું જીવન આવું દિવ્ય, પ્રભાવક, સમતાયુક્ત હતું.
પ્રમુખસ્વામીએ હંમેશા ભગવાન, ગુરુને જ યશ આપ્યો
BAPS સંસ્થાના સદગુરુ સંત પૂ. ઈશ્વરચરણ સ્વામીએ કહ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ વિનમ્ર પુરુષ હતા અને તેમનામાં અહમ્ શૂન્યતા અને નિર્માનીપણું જોવા મળતું હતું. પ્રમુખસ્વામી મહારાજ સતત આત્મારૂપે વર્તતા હતા. પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે, અનેક મંદિરોનું નિર્માણ કર્યું છે, અનેક ઉત્સવો કર્યા છે પરંતુ તેઓ ક્યારેય બોલ્યા નથી કે, ‘મેં કર્યું છે...’ તેમણે દરેક કાર્યોનો યશ હંમેશા ભગવાન અને ગુરુને જ આપ્યો છે.
પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ વિશ્વ નહીં ભૂલી શકે
BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ વિશ્વભરના લોકો ક્યારેય નહી ભૂલી શકે કારણ કે જે કોઈ પણ પ્રમુખસ્વામી મહારાજને મળ્યા છે તે પ્રમુખસ્વામી મહારાજના થઈ ગયા છે. પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ કોઈ વ્યક્તિ કે રાષ્ટ્રની સરહદો પૂરતો સીમિત નહોતો. પ્રમુખસ્વામીનું સર્વોત્તમ કાર્ય એ 1200 થી વધારે મંદિરો બાંધ્યા છે તે માનવ ઉત્કર્ષના મંદિરો સમાન છે અને આવનારી અનેક પેઢીઓ ક્યારેય ભૂલી નહિ શકે. આજે પુરાતત્વ વિભાગ જેમ અવશેષો પરથી આપણી સંસ્કૃતિ અથવા સભ્યતાનો અંદાજ લગાવી રહ્યા છે પરંતુ આવનારા હજારો વર્ષો પછી કોઈ અંદાજ લગાવશે ત્યારે તેઓ યાદ કરશે કે, કેવા હશે તે મહાન પુરુષ જેણે સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્યથી રંગી નાખી હતી.’
આ પ્રસંગે ભારત સરકારના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, ‘હું આવનારી પેઢીને ખુશી સાથે કહીશ કે અબુધાબીના હિન્દુ સ્વામિનારાયણ મંદિર નિર્માણ વખતે હું સહભાગી બન્યો હતો.’
મહોત્સવમાંથી સુખનો રાજમાર્ગ મળ્યો
BAPSના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે ઉત્સવ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું અંગ છે અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ તેનું ઉત્તમ ઉદાહરણ છે કારણકે આ મહોત્સવમાંથી અનેક લોકોને પ્રેરણા અને સુખનો રાજમાર્ગ મળ્યો છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં છેલ્લા 31 દિવસમાં 1.21 કરોડ લોકોએ મુલાકાત લીધી છે અને 1.23 કરોડ લોકોએ વ્યસનમુક્તિ - ઘરસભાના નિયમો લીધા છે. પ્રમુખસ્વામી મહારાજ નગરની દિવ્યતા, ભવ્યતા, સ્વચ્છતા, પ્રબંધન વગેરેએ સમગ્ર વિશ્વમાં આકર્ષણ જમાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter