અમદાવાદઃ બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના વિશ્વાસુ સંત્સગીઓ પૈકીના હરિશભાઈ સત્યનારાયણ દવે ૨૧મી ડિસેમ્બરે મોડી રાત્રે મેસિવ હાર્ટએટેકના પગલે અક્ષર નિવાસી થયા હતા. તેઓ BAPSના રિટાયર્ડ જનરલ સેક્રેટરી હતા. દિવંગતની અંતિમયાત્રામાં BAPSના સંતો અને અગ્રણીઓ સામેલ થયા હતા.
સોજીત્રાના વતની હરિશભાઈ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને મોડર્ન બેટરીઝમાં ૩૫ વર્ષ પહેલાં સેવા આપતા હતા, પરંતુ પ્રમુખસ્વામીની અમીદૃષ્ટિથી નોકરી છોડી સંસ્થા સાથે જોડાયા હતા. તેઓએ પ્રમુખસ્વામીનો વિશ્વાસ એ હદે સંપાદિત કર્યો હતો કે, બાપા જીવ્યા ત્યાં સુધી તેમનો પાવર ઓફ એટર્ની હરિશભાઈ સંભાળતા હતા. છેલ્લા ૩૫ વર્ષથી નિસ્વાર્થ ભાવે BAPS સંસ્થાની સેવામાં સમર્પિત હરિશભાઈ સાચા અર્થમાં મુઠ્ઠી ઉંચેરા માનવી હતા. યોગાનુયોગ ૨૧ ડિસેમ્બરે તેમના ૭૫મા જન્મ દિવસે જ તેઓ અક્ષર નિવાસી થયા હતા. હરિશભાઈના પુત્ર ચિંતનભાઈ દવે ગુજરાત હાઈ કોર્ટમાં એડિશનલ પબ્લિક પ્રોસ્કયુટર છે.