પ્રેમલગ્ન કરનાર દંપતીઓને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ

Wednesday 24th April 2019 07:57 EDT
 

અમદાવાદ: પ્રેમલગ્ન કર્યા બાદ કુટુંબ અને સમાજના ડરથી જીવનું જોખમ લઇને જીવતાં અને પોલીસ સમક્ષ રક્ષણ મેળવવાની આજીજી કરતાં અનેક કિસ્સા હાઇ કોર્ટ સમક્ષ આવી રહ્યાની ગંભીર નોંધી હાઇ કોર્ટે લીધી છે. હાઇ કોર્ટના જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીએ આવા કિસ્સાઓ માટે આદેશ કર્યો છે કે, સુપ્રીમ કોર્ટે શક્તિવાહિનીના કેસમાં ‘ઓનર કિલિંગ’ અને ‘પોલીસ પ્રોટેક્શન’ સહિતના મુદ્દાઓ માટેના ચોક્કસ નિર્દેશો આપ્યાં છે. છતાં પ્રેમલગ્ન પછી પોલીસ પ્રોટેક્શનની માગ કરતાં અનેક કેસ રોજ કોર્ટમાં આવે છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોના અમલીકરણ માટે રાજ્ય સરકારે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ બનાવવાની જરૂર છે. જેથી ભયમાં જીવતાં પ્રેમલગ્ન કરનારા દંપતીઓને ભયમાંથી મુક્તિ મળે અને આ પ્રકારના મુદ્દાઓનું યોગ્ય વ્યવસ્થાપન પણ કરી શકાય.
બનાસકાંઠાના મીના અને સંજય (નામ બદલ્યું છે)એ હાઇ કોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી હતી કે, તેમણે ૨૨મી માર્ચે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે અને તેઓ સતત ભય નીચે જીવી રહ્યાં છે. સ્થાનિક પોલીસને રજૂઆત કર્યા છતાંય તેમણે પોલીસ પ્રોટેક્શન આપ્યું નહોતું. તેથી આ દંપતી ભારે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.
હાઇ કોર્ટે આ પ્રકારના કિસ્સાઓ માટે માર્મિક નોંધ કરી હતી કે, જ્ઞાતિના આધારે સમાજના ભાગલાનો મુદ્દો અનિયંત્રિત રીતે ફેલાઇ રહ્યો છે. તેથી આ ક્ષતિને તાકીદે દૂર કરવાની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter