અમદાવાદઃ અમદાવાદ નજીક બગોદરા પાસે બનેલા ફિલ્મસિટીમાં ૧૧૦૦૮ કુંડીય લક્ષ્મી નારાયણ (કામધેનુ) યજ્ઞ માટેની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ૧૦થી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ દરમિયાન યોજાનારા આ યજ્ઞમાં ૫૦ હજાર દંપતી બેસવાના છે ત્યારે આટલા મોટા પાયે યજ્ઞનું આયોજન ગીનીસ બુકમાં સ્થાન પામે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ૫૦ લાખ લોકો યજ્ઞ સ્થળની મુલાકાત લેશે જેમાં ૧૩૫ દેશોમાંથી લોકો આવશે.
વિશ્વના અનેક સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે, યજ્ઞમાં વાતાવરણમાં ફેલાતા કાર્બનને નાથવાની શક્તિ છે. યજ્ઞમાં અપાતી આહુતીને કારણે પર્યાવરણમાં મોટા પ્રમાણમાં શુદ્ધતા આવતી હોય છે. આત્મા સ્પીરિચ્યુઅલ એનર્જી રિસર્ચ ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાનાર આ હવનમાં કાર્યક્રમમાં સંસ્થાના પેટ્રન તરીકે પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરી છે તેમજ મેનેજીંગ ટ્રસ્ટી પદે નરેન્દ્રસિંહ, રૂઝાન ખંભાતા સહિતના અગ્રણી સંકળાયેલા છે. હવન કાર્યક્રમમાં તમામ ધર્મ સંપ્રદાયના લોકો બેસી શકે તેવી જોગવાઇ છે. શ્રીયંત્ર આકારમાં બની રહેલી યજ્ઞશાળામાં પંચગવ્યનો ઉપયોગ થશે.
પર્યાવરણ અભ્યાસ
યજ્ઞ પહેલાની ૧૦૦ કિ.મી.ના વિસ્તારમાં હવા, પાણી અને જમીનના નમૂના લેવાયા છે. યજ્ઞ પછી તેમાં શું ફર્ક પડે છે તેનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવશે. જમીનમાં કૃષિ ઉત્પાદનના આંકડા પણ ધ્યાને લેવામાં આવશે. તેમજ તેનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. ૫૦૦૦ જેટલા વૃક્ષો આ સ્થળે ઉછેરવામાં આવશે. તેમજ તે વૃક્ષોને ઉછેરવા માટે ૧૦ વર્ષના એમઓયુ થશે. જેથી ત્યાં વૃક્ષો યોગ્ય રીતે ઉછરી શકે.

