ગાંધીનગરઃ ભારતને અહિંસક સત્યાગ્રહથી સ્વતંત્રતા અપાવી એકતા અખંડિતતા સાથે વિકાસ પથ કંડારનારા ગુજરાતના બે સપૂત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલનું કોમનવેલ્થ રાષ્ટ્રોએ સન્માન કરવા સાથે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા કોમનવેલ્થ રાષ્ટ્રના સેક્રેટરી જનરલ બેરોનેસ પેટ્રીસીયાએ રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ અને મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન સાથે અમદાવાદમાં યોજેલી બેઠકમાં ગુજરાત માટે ગૌરવ સમાન એવી આ જાહેરાત કરી હતી.
કોમનવેલ્થ સેક્રેટરી જનરલ પેટ્રીસીયાએ જણાવ્યું કે, કોમનવેલ્થ કન્ટ્રીઝના ૫૩ રાષ્ટ્રોમાં ૨.૪ બિલિયનની યુવાવસ્તી છે. આ યુવાઓને શાંતિ-અહિંસાના પ્રતીક સમાન ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના શાશ્વત વિચારો, અહિંસા, એકતા-શાંતિ થકી વિકાસની સંકલ્પબદ્ધતા માટે પ્રેરણા-પ્રોત્સાહન મળે તેવી કોમનવેલ્થ રાષ્ટ્રોની નેમ છે. આ હેતુથી જ ગાંધીજીની ૧૫૦મી જન્મજ્યંતીના આ વર્ષે ‘કોમનવેલ્થ પીસ પ્રાઇઝ ઓન મહાત્મા ગાંધી’ જાહેર કરાયું છે. પેટ્રીસીયાએ આ પીસ પ્રાઈઝ જાહેર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના આ પનોતા પુત્રએ વિશ્વને જે શાંતિ અને સદભાવનો પથ બતાવ્યો છે તે જ માર્ગ આજની વૈશ્વિક સમસ્યાઓના શાંતિપૂર્ણ સમાધાનનો માર્ગ છે.
કોમનવેલ્થ સેક્રેટરી જનરલે લોહપુરુષ સરદાર વલ્લભ પટેલે દેશની એકતા અખંડિતતા સાથે સુશાસન ગુડ ગવર્નન્સ ક્ષેત્રે આપેલા ઉત્કૃષ્ટ યોગદાનને વિશ્વસ્તરે ઊજાગર કરવા કોમનવેલ્થ ફંડ ફોર ગુડ ગવર્નન્સની પણ ગૌરવપૂર્ણ ઘોષણા કરી હતી.
બેરોનેસે કહ્યું હતું કે, ગુજરાતની ભૂમિના આ બે સપૂતોએ પોતાના અદકેરા પ્રદાનથી ભારત અને ગુજરાતને વિશ્વમાં જે સન્માન અપાવ્યું છે તેને સદાકાળ જીવંત રાખવાનો કોમનવેલ્થ રાષ્ટ્રનો આ એક સ્તુત્ય પ્રયાસ છે. કોમનવેલ્થના સેક્રેટરી જનરલ અને પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, ગુજરાતના તેમના પ્રવાસ દરમિયાન તેઓ આ બંને વિભૂતિઓની સ્મૃતિ સાથે જોડાયેલાં દર્શનીય સ્થાનો સાબરમતી આશ્રમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે અને ગાંધીજી અને સરદાર સાહેબને આદર સન્માન અંજિલ અર્પણ કરશે.
મુલાકાતમાં રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે ગુજરાત માટેની આ સીમાચિહ્ન રૂપ જાહેરાતો માટે કોમનવેલ્થ સેક્રેટરી જનરલનો સૌ ગુજરાતીઓ વતી આભાર પ્રગટ કર્યો હતો.