અમદાવાદઃ ૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કિસ બાનોના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલાં ચુકાદાના પગલે રાજ્યના ગૃહ વિભાગે આઈપીએસ આર એસ ભગોરા સહિત પાંચ પોલીસ કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભર્યા છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અહેવાલ સુપરત કરી દીધો છે. ભગોરા આઈપીએસ અધિકારી હોવાથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી છે જ્યારે રાજ્યના ચાર પોલીસ કર્મચારી નિવૃત્ત થઈ ગયા હોવાથી તેમનું ૧૦૦ ટકા પેન્શન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જયારે એએસઆઈ નરપતસિંહ પટેલને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કેડરના આઈપીએસ ભગોરા હાલ અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક ડીસીપી છે.
બિલ્કિસ બાનાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ૨૩ એપ્રિલે બિલ્કિસ બાનોને રૂ. ૫૦ લાખનું અનુકરણીય વળતર ઉપરાંત સરકારી નોકરી, સરકારી રહેણાક પૂરુ પાડવાની સાથે દોષિત ઠરેલા અધિકારીઓ સામે પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશથી ચાર સપ્તાહમાં કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી.


