નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ૩૦મીએ નિર્દેશ આપ્યો છે કે ૨૦૦૨નાં રમખાણોની દુષ્કર્મ પીડિતા બિલ્કિસ બાનોને બે અઠવાડિયામાં રૂ. ૫૦ લાખ વળતર પેટે ચૂકવવામાં આવે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે રાજ્ય સરકારને બિલ્કિસને નોકરી અને ઘર આપવાનો નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે આમ તો એપ્રિલ, ૨૦૧૯માં ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો કે, બિલ્કિસને રૂ. ૫૦ લાખ વળતર, નોકરી અને ઘર આપવામાં આવે. તેના પર અત્યાર સુધી અમલ ન થવા બદલ બિલ્કિસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત રમખાણો દરમિયાન ૩ માર્ચ ૨૦૦૨ના રોજ બિલ્કિસના પરિવાર પર હુમલો થયો હતો અને બિલ્કીસ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તે સમયે ૨૧ વર્ષીય બિલ્કિસ ગર્ભવતી હતી.