અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે હાઇ કોર્ટે હાથ ધરેલી સુઓમોટોની પહેલી સુનાવણીમાં સોમવારે રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે ગુજરાત પાસે રેમડિસિવિર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો છે અને દેશમાં સૌથી વધુ ઇન્જેક્શન ગુજરાતને મળી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં પરિસ્થિતિ ગુજરાત કરતાં પણ ખરાબ છે, અન્ય રાજ્યો કરતા ગુજરાત સારી કામગીરી કરી રહ્યું છે.
રાજ્ય સરકારની આ દલીલો અને રજૂઆતો ફગાવતા ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે કહ્યું હતું કે અન્ય રાજ્યોની પરિસ્થિતિ અંગે અમને જાણકારી છે. અન્ય રાજ્યો સાથે સરખામણી ન કરો અને ગુજરાતની ચિંતા કરો. સરકાર ભલે સારું ચિત્ર રજૂ કરી રહી હોય પરંતુ પરિસ્થિતિ વિપરિત અને ગંભીર છે. સરકાર અત્યારે ઝડપી ટેસ્ટિંગ પર ભાર મૂકે તે સૌથી વધુ જરૂરી છે. રાજ્ય સરકારને સોગંદનામા પર જવાબ રજૂ કરવાનો નિર્દેશ કરી વધુ સુનાવણી ૧૫મી એપ્રિલના રોજ નિયત કરી હતી.
રાજ્ય સરકાર તરફથી સોમવારની સુનાવણીમાં રજૂઆત કરાઇ હતી કે દેશમાં રોજના ૧.૭૫ લાખ રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન થાય છે અને તેમાંથી ૨૫થી ૩૦ હજાર ઇન્જેક્શનનો જથ્થો ગુજરાતને મળે છે. જેથી ગુજરાત પાસે રેમડિસિવિરનો પૂરતો જથ્થો છે. ડોક્ટરો અત્યારે આડેધડ આ ઇન્જેક્શન પ્રિસ્ક્રાઇબ કરે છે અને લોકોને પણ ડર છે કે આ ઇન્જેક્શનની જરૂર પડી શકે છે. આવા ડરના કારણે લોકો ઇન્જેક્શનનો સંગ્રહ કરવા ખોટી રીતે લાઇનમાં ઉભા રહે છે. આ કારણોસર ઇન્જેક્શન મુદ્દે આટલી અરાજકતા સર્જાઇ છે. કોરોના દર્દીની પરિસ્થિતિ અત્યંત કથળે ત્યારે જ રેમડિસિવિરની જરૂર પડે છે. જરૂરત વગર આ ઇન્જેક્શન લેવામાં આવે તો કિડની અને લીવર પર વિપરિત અસર થઇ શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં અત્યારે પરિસ્થિતિ ગુજરાત કરતા પણ ગંભીર છે.
‘પરિસ્થિતિ વિપરિત અને દુર્ભાગ્યપૂર્ણ’
સરકારે બચાવ માટે રજૂ કરેલા વિવિધ મુદ્દાઓ અને દલીલોને ફગાવતા ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે ટકોર હતી કે સરકાર ભલે સારું ચિત્ર રજૂ કરી રહી હોય પરંતુ પરિસ્થિતિ વિપરિત અને દુર્ભાગ્યપૂર્ણ છે. અન્ય રાજ્યોમાં કેવી પરિસ્થિતિ છે તેના વિશે અમારી પાસે માહિતી છે. આપણે અત્યારે ગુજરાતમાં છીએ તેથી ગુજરાતની ચિંતા કરવી જોઇએ. બીજા લોકો સારી કામગીરી ન કરી રહ્યા હોય તો તેને મતલબ એવો નથી કે આપણે પણ સારાં પ્રયત્નો ન કરીએ. ગુજરાત પાસે રેમડિસિવિર ઇન્જેક્શનનો સૌથી મોટો જથ્થો અને વધુ ઉત્પાદકો છે તો આટલી અરાજકતા શા માટે? એક હજાર રૂપિયા ખર્ચી ઇન્જેક્શન લેવાનો શોખ કોઇ પણ વ્યક્તિને ન હોય. આ ઉપરાત જો બધું નિયંત્રણમાં હોય તો એમ્બ્યુલન્સની આટલી લાંબી લાઇનો શા માટે લાગી રહી છે.